ઊંચા વ્યાજની લાલચ આપીને 10 કરોડનું ઉઠમણું:સિક્યોર લાઈફ ગ્રુપમાં રોકાણકારોના નાણાંની સલામતી જોખમાઈ
ઓરિસ્સાની કંપનીમાં લોભામણી સ્કીમો બહાર પાડીને રોકાણ કરાવ્યા બાદ પાકતી મુદતે ઠગાઈ :સુરતની આઠેક બ્રાન્ચમાં પાંચ હજાર લોકોના નાણાં સલવાયા
સુરત: ઊંચા વ્યાજની લાલચ આપીને જુદા જુદા સ્કીમના ઓઠા હેઠળ લોકોના નાણાં લઈને પાકતી મુદતે ઠગાઈ થયાનો કિસ્સો બહાર આવ્યો છે અમરોલી માન સરોવર સર્કલ પાસે આવેલ સિક્યોર લાઈફ ગ્રુપ કંપનીઝ દ્વારા ઉંચુ વ્યાજ આપવાની લોભામણી સ્ક્રીમો બહાર પાડી એજન્ટ મારફતે નાની મોટી રકમનું રોકાણ કરાવ્યા બાદ પાકતી મુદતે પૈસા ન આપી અંદાજીત ૧૦ કરોડ ઉપરાંતમાં ઉઠમણું કયું હતું. જેમાં સુરતના અલગ અલગ વિસ્તારમાં આવેલા આઠેક બ્રાન્ચમાં પાંચ હજાર જેટલા લોકોના નાણા ફસાયા છે.
બનાવ અંગે અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મુળ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં આવેલા સિક્યોર લાઈફ ગ્રુપ કંપનીની સિક્યોર લાઈફ કેપીટલ લિમિટેડ કંપની દેશમાં અલગ અલગ રાજ્યમાં ૧૦૫ જેટલી બ્રાન્ચ આવેલી છે. જેમાં સુરતમાં પણ વર્ષ ૨૦૧૦માં અમરોલીના માન સરોવર સર્કલ શ્રીપાલ નગર સોસાયટીમાં, વેડરોડ, પાંડેસરા, કડોદરા, અડાજણ સહિત અલગ અલગ વિસ્તારમાં આઠ જેટલી બ્રાન્ચ આવેલી છે.
કંપની દ્વારા ડેઈલ, મંથલી, વાર્ષિક તથા ફિક્સ ડિપોઝીટમાં ઉંચુ વ્યાજ આપવાની અલગ અલગ લોભામણી સ્ક્રીમો મુકી હતી અને લોકોને નાણા રોકવા માટે એજન્ટોની પણ નિમણુંક કરી હતી. એજન્ટોને દરેક મેમ્બરના રોકાણ કરવા પાછળ કમિશન આપવામાં આવતુ હોવાથી ઍજન્ટો દ્વારા શહેરમાંથી સંખ્યાબંધ લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં કંપનીના ડાયરેક્ટર બબરૂ બહન નાયક, અંતરયામી નાયક, રૂશીતા લોકનાથ ગૌડા, સાબીત્રી ગોપાલચંદ્ર બિસોઈ દ્વારા લોકોને પાકતી મુદતે વ્યાજ સાથે નાણા ચુકવી લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો. જેથી મોટી સંખ્યામાં લોકોએ કંપનીમાં રોકાણ કરાવ્યું હતું.ત્યારબાદ પાકતી મુદતે રોકાણકારોને પૈસા ચુકવાનો બહાને સુરત સહિત દેશભરની તમામ બ્રાન્ચને તાળા મારી રફુચક્કર થઈ ગયા હતા. સુરતમાં આ અંગે એજન્ટ નરસિંહ ગણેશ ડાંખરાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના મારફતે રોકાણકારોના ૫૭ લાખ મળી કુલ રૂપિયા ૧૦ કરોડનું ઉઠમણું કર્યુ છે. જેમાં અંદાજીત ૫ હજાર જેટલા લોકોના નાણા ફસાયા છે.બનાવ અંગે પોલીસે નરસિંહની ફરિયાદને આધારે કંપનીના ડાયરેક્ટર તેમજ બ્રાન્ચ મેનેજર અશોક સ્વાઈ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.