ગુજરાત
News of Tuesday, 13th February 2018

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૧૦ દિનમાં ૧૬૧ કેસો

વર્ષ ૨૦૧૮માં ઝાડા ઉલ્ટીના હજુ સુધી ૬૪૩ કેસ : કમળાના વર્ષ ૨૦૧૮માં ૨૩૫ અને ટાઇફોઇડના ૨૧૦ કેસ, ઝેરી મેલેરિયાના ૨૨ કેસ નોંધાતા ભારે સનસનાટી

અમદાવાદ, તા.૧૩ : અમદાવાદ શહેરમાં ઠંડી અને ગરમીની મિશ્ર સિઝન વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય કેસો ફરી એકવાર સપાટી ઉપર આવ્યા છે. વર્ષ ૨૦૧૮ની શરૂઆત થયા બાદથી સાદા મેલેરિયાના ૫૦ કેસો નોંધાઈ ચુક્યા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૨૨ કેસો સપાટી ઉપર આવ્યા છે. ડેંગ્યુના ૩૨ કેસ નોંધાઈ ચુક્યા છે. આવી જ રીતે પાણીજન્ય રોગની વાત કરવામાં આવે તો ઝાડા-ઉલ્ટીના ૬૪૩ કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે ૨૦૧૮માં હજુ સુધી કમળાના ૨૩૫ અને ટાઇફોઇડના ૨૧૦ કેસ નોંધાયા છે. ફેબ્રુઆરી ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૫૫૦૬૬ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં ૧૦મી ફેબ્રુઆરી સુધીમાં ૩૦૮૮૬ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફેબ્રુઆરી મહિનામાં ૧૩૯ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પરિણામને લઇને ચર્ચા છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે. આમ આ મોસમમાં મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યા વધવી જોઈએ એના બદલે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસો વધવા પામતા મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થવા પામી છે. ગત વર્ષે પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગની સ્થિતિ લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ ન થવાના કારણે વકરવા પામી હતી.મ્યુનિસિપલ કમિશનરે પણ ગત વર્ષે ઈજનેર અને હેલ્થ વિભાગના અધિકારીઓને શહેરના વિવિધ વિસ્તારોમાંથી મળતી પોલ્યુશનની ફરિયાદોનો સમયસર નિકાલ કરવા મામલે અનેક વખત રિવ્યુ બેઠકમાં ઠપકો પણ મળ્યો હતો.  આમ છતાં પણ મ્યુનિસિપલ તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી ન હતી. અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆતથી હજુ સુધીમાં ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૬૪૩ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ ઉપરાંત પાણીજન્ય એવા કમળાના પણ ૨૩૫ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત ટાઈફોઈડના કુલ ૨૧૦ કેસ નોંધાવા પામ્યા છે. શહેરમાં મચ્છરજન્ય રોગના કેસની સ્થિતિ અંગે જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં સાદા મેલેરીયાના ૫૦ કેસ અને ઝેરી મેલેરીયાના ૨૨ અને ડેન્ગ્યુના ૩૨ કેસ સપાટી પર આવવા પામ્યો છે. માત્ર ફેબ્રુઆરી મહિનામાં ઝાડા ઉલ્ટીના ૧૦ દિવસના ગાળામાં જ ૧૬૧ કેસો નોંધાઈ ચુક્યા છે.

રોગચાળાનું ચિત્ર.....

        અમદાવાદ, તા.૧૩ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત                 ૨૦૧૭          ૨૦૧૮

સાદા મેલેરીયાના કેસો ૯૨૯૭          ૫૦

ઝેરી મેલેરીયાના કેસો  ૧૩૨૦          ૨૨

ડેન્ગ્યુના કેસો          ૧૦૭૧          ૩૨

ચીકુનગુનિયા કેસો     ૨૫૬            ૦૮

પાણીજન્ય કેસો

ઝાડા ઉલ્ટીના કેસો    ૯૨૧૩          ૬૪૩

કમળો                 ૨૩૭૬          ૨૩૫

ટાઈફોઈડ             ૨૮૦૭          ૨૧૦

કોલેરા                ૮૮              ૦૦

આરોગ્ય વિભાગના પગલા

       અમદાવાદ, તા.૧૩ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ............................................ ૧૨૮૭૬

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના............. ૧૩૪૮

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ............. ૪૨૭૮

ક્લોરીન ગોળીઓનું વિતરણ.................... ૬૫૧૮૮૦

જંતુનાશક દવાનો છંટકાવ....................... ૨૩૦૫૧૨

નોટિસ અપાઈ............................................... ૬૦૩

નિકાલ કરેલ ફરિયાદ.................................. ૧૫૦૧

મોબાઇલ કોર્ટ દ્વારા દંડ............................. ૭૬૪૦૦

વહીવટી ચાર્જ......................................... ૬૫૩૫૧૮

(8:24 pm IST)