ભીલાડના સરીગામમાં 12 વર્ષીય વિદ્યાર્થીની સાથે નરાધમ શિક્ષકે શારીરિક અડપલાં કરતા ચકચાર
ભિલાડ:ના સરીગામ ખાતે આવેલી શાળાના શિક્ષકે આજે ધો. ૬માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વિદ્યાર્થિની સાથે કરેલા કૃત્યની વાત ફેલાઈ જતાં શાળાની બહાર લોકોનું ટોળુ એકત્રિત થઈ શિક્ષક સામે આક્રોશ ઠાલવ્યો હતો.
ભિલાડ નજીકના સરીગામ ખાતે સરસ્વતી હિન્દી માધ્યમની શાળામાં સવારે ધો.૬માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કામીની (ઉ.વ.૧૨, નામ બદલ્યું છે) રાબેતા મુજબ ગઈ હતી. બપોરે વિજ્ઞાાનાના શિક્ષક ઓમપ્રકાશ યાદવે નોટબુક તપાસવાના બહાને કામીનીને સ્ટાફ રૃમમાં બોલાવી હતી.
સ્ટાફ રૃમમાં એક પણ શિક્ષક હાજર નહીં હોવાથી કામવાસનામાં ચકચુર શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હતા. શાળા છૂટયા બાદ કામીની રડતી-રડતી ઘરે પહોંચતા પરિવારજનોએ તેને પૂછતા આખી બીના જણવતા પરિવારજનો રોષે ભરાયા હતા.
બાદમાં કામીનીના પરિવારે પોલીસ મથકે પહોંચી બનાવની જાણ કરી હતી. પોલીસની ટીમ શાળાએ પહોંચી હતી. જો કે શિક્ષકના આ પ્રકારના કૃત્યને લઈ શાળાની બહાર લોકોનું ટોળુ એકત્રિત થઈ ગયું હતું. લોકોએ શિક્ષક સામે રોષ ઠાલવ્યો હતો. ઉમરગામ પોલીસે શિક્ષક ઓમપ્રકાશ યાદવ વિરૃદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.