ગુજરાત
News of Tuesday, 13th February 2018

કપડવંજ-ધોલીવાલ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બેના કમકમાટી ભર્યા મોત

ખેડા:જિલ્લાના કપડવંજ-ઘોળીવાલ નજીક તેમજ વલેટવા રોડ ઉપર અકસ્માત સર્જાયા હતા જેમાં બેના મોત થયા હતા. આ અંગે પોલીસે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ રેલવે સ્ટેશન જકાતનાકા નજીક રહેતા હેમલભાઈ સુરેશભાઈ ઠાકોર આજે સાંજે સ્કૂટર નં. જીજે ૭ ડી કે ૭૦૭૮ ઉપર કુલદીપને બેસાડી જઈ રહ્યા હતા ત્યારે ઘોળીવાલ રોડ નહેરના ગરનાળા નજીક ટ્રેક્ટર નં. જીજે ૭ ડીએ ૯૩૫ એ ટક્કર મારતા સ્કૂટર સવાર બંને રોડ ઉપર ફંગોળાઈ ગયા હતાં. જેથી બંનેને ઈજા થઈ હતી. જે પૈકી કુલદીપ સંજયભાઈ જયસ્વાલ (ઉંમર ૧૯ વર્ષ)નું ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હેમલભાઈ સુરેશભાઈ ઠાકોરની ફરિયાદ આધારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં ગત તા. ૯-૨-૧૮ની રાત્રે કેરીઆવી શ્રમજીવી એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ત્યારે વલેટવા નજીક એક્ટિવા સ્લીપ ખાઈ જતા અભાજી મારવાડીનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજા પામેલ માહીર ફીરોજમીયાં બેલીમને મહાગુજરાત હોસ્પિટલમાંથી કરમસદ હોસ્પિટલમાં રીફર કર્યા હતાં. જ્યાં આજે માહીરમીયાં બેલીમ (ઉ. ૧૭) રે. પાડગોલ)નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વસો પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:37 pm IST)