ગુજરાત
News of Tuesday, 13th February 2018

પોલીસને પાણી 'બતાવવા' નહિ,પાણી બચાવવા સરકારની સૂચના

ર૦૧૬નો પરિપત્ર ફરી ગૃહ વિભાગની વેબસાઇટ પરઃ વૃક્ષારોપણની અપીલ : પોલીસ કચેરી અને આવાસોમાં પાણી કેમ બચાવવું? તેની માહિતી આપી

રાજકોટ તા. ૧૩: રાજય સરકારના ગૃહ વિભાગે પાણીનો કરકસરથી ઉપયોગ કરવા માટેનો માર્ગદર્શક પરિપત્ર બહાર પાડયો છે. પરિપત્રમાં તા. ૩-પ-ર૦૧૬ દર્શાવેલ છે જયારે ગૃહ વિભાગની વેબ સાઇટ પર આ પરિપત્ર તા. ૯-ર-ર૦૧૮ના રોજ મુકાયાનું દર્શાવાયું છે. પરિપત્રમાં પોલીસને પાણી બચાવવા માટેની સલાહ આપવામાં આવી છે. પરિપત્ર નવો હોય કે જુનો હોય, જો તેનું પાલન થાય તો સમાજને ઉપયોગી થાય તેમ છે.

ગૃહ વિભાગના ઉપસચિવના નામથી પરિપત્રમાં જણાવાયું છે કે, વર્તમાન સમયની ટકાઉ વિકાસ (સંપોષિત વિકાસ) ની જરૂરીયાતને ધ્યાને લઇ, પર્યાવરણની જાળવણીના ભાગરૂપે દેશ તથા રાજયમાં પ્રવર્તી રહેલ પાણીની તંગીને નિવારવાના ભાગરૂપે, વિભાગ તથા વિભાગના તાબા હેઠળની તમામ કચેરીઓમાં પાણીનો કરકસર અને વિવેકપૂર્વક ઉપયોગ કરવાના હેતુસર નીચે જણાવેલ સૂચનાઓનો ચૂસ્તપણે અમલ કરવા અને કરાવવા આથી જણાવવામાં આવે છે.

(૧) કચેરી (પોલીસ સ્ટાફ કવાર્ટર સહિત) માં ઉપયોગમાં લેવાતાં પાણીનો કરકસર અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો/કરાવડાવવો અને તે અંગે તમામ વ્યવસ્થા કરવી.

(ર) તમામ કચેરીઓ (પોલીસ સ્ટાફ કવાર્ટર સહિત) માં વરસાદી પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા કરવી.

(૩) કચેરીઓમાં (પોલીસ સ્ટાફ કવાર્ટર સહિત) પાણી પુરવઠો ઉપલબ્ધ થતો હોય. તેવા તમામ સ્થળો પરની પાણીના પાઇપ લાઇન, પાણીના સંગ્રહ માટેના પાત્રોના લીકેજ અંગેની ક્ષતિઓ દૂર કરવી તથા પાણી બચાવવા માટે પાઇપ લાઇન સમયસર બંધ કરવા વ્યવસ્થા ગોઠવવી.

(૪) કચેરીઓની (પોલીસ સ્ટાફ કવાર્ટર સહિત) ઓવર હેડ ટાંકીઓ પાણી ભરતી વખતે પાણીની ટાંકી ઓવર ફલો ન થાય તે અંગે નિયમિત મોનીટરીંગ કરવું.

(પ) કચેરીઓના (પોલીસ સ્ટાફ કવાર્ટર સહિત) ગાર્ડન, વૃક્ષ વનસ્પતિ તથા જેલ ખાતાની ઓપન જેલમાં કરવામાં આવતી ખેતીને ટપક સિંચાઇ તથા કુંવારા પદ્ધતિ અમલમાં લાવવી.

(૬) ગુજરાત પોલીસ આવાસ નિગમ લી. દ્વારા હવે પછી બાંધવામાં આવનાર સ્ટાફ કવાર્ટર તથા કચેરીઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની ટેકનિકલ વ્યવસ્થા ગોઠવવી.

(૭) કચેરીની ગાડી ધોવા માટે પાણીનો થતો વ્ય અટકાવવા વ્યવસ્થા કરવી તથા ડ્રાઇવરોને પાણીની પાઇપ લાઇન સમયસર બંધ કરવા સૂચના આપવી/વ્યવસ્થા ગોઠવવી.

(૮) કચેરીઓમાં રજાના દિવસો પહેલા દરેક નળ ચેક કરી બંધ કરવા વ્યવસ્થા ગોઠવવી. જેથી રજાના સમય દરમ્યાન ચાલુ નળ મારફત વહી જતું પાણી અટકાવી શકાય.

(૯) કચેરીમાં પાછલા દિવસે વધેલું પાણી કચેરીના વૃક્ષ, વનસ્પતિ માટે વાપરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવી.

(૧૦) પાણી માટે વધુ વરસાદ મેળવવા દરેક અધિકારી/કર્મચારીએ એક વૃક્ષ વાવવું અને તેનું જતન કરવાની વ્યવસ્થા ગોઠવવી.

(૧૧) પાણીના કરકસર પૂર્વકના ઉપયોગ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીનું યોગ્ય દ્વારા સન્માન કરવું.

(3:59 pm IST)