ગાંધીનગરમાં નીલગાય સચિવાલય સુધી પહોંચી ગઇઃ ડસ્ટબીનમાં માથુ ફસાતા ફાયર બ્રિગેડ ટીમને બોલાવવી પડી
ગાંધીનગરઃ ગાંધીનગર સચિવાલય સુધી નીલગાય પહોંચી ગયા બાદ ડસ્ટબીનમાં કોઇ ખોરાકની શોધમાં માથુ નાખતા તેનું માથુ ફસાઇ જતા ફાયરબ્રિગેડ ટીમને બોલાવવી પડી હતી અને સહી સલામત માથુ બહાર કાઢ્યુ હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સચિવાલય ગેટ નંબર ૧ની પાસે સવારે ડસ્ટબીનમાં નીલગાયનું માથુ ફસાઇ ગયું હતું. ફાયરબ્રિગેડની મહામહેનતથી આખરે નીલગાયનું માથું બહાર કાઢવામાં આવ્યું હતું.
ગાંધીનગર સચિવાલયમાં નીલગાય આવી જવાના અને અવારનવાર રોડ ઉપર પણ નીલગાય આવી જવાના કિસ્સા છે. ઘણી વાર તો ગંભીર અકસ્માતો પણ બન્યા છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ઘણા ગામડાઓમાં નીલગાયના ત્રાસને કારણે ખેડૂતોને અસંખ્ય વાર ઊભા પાકમાં નુકશાની ભોગવવી પડતી હોય છે. ખેડૂતો ઘણીવાર રાતભર જાગીને નીલગાય ખેતરમાં ઉગેલા પાકને નુકશાન ન કરે તેની તકેદારી રાખતા હોય છે. ઘણા રોડ પર નીલગાયને કારણે થયેલા અકસ્માતમાં પણ લોકોએ ગંભીર ઇજાનો ભોગ બનવું પડતું હોય છે, તો ઘણીવાર સ્વજનને ગુમાવવાનો વારો પણ આવે છે.