અમદાવાદમાં નિવૃત જ્જ પાર્કિંગની સમસ્યાથી પરેશાન : ન્યાય મેળવવા આમરણાંત ઉપવાસ માટે માંગી મંજૂરી
પોતાની જ બિલ્ડિંગમાં બિલ્ડર અને મળતિયાઓએ દુકાનો અને ગોડાઉનો બનાવી નાખતા પાર્કિંગ માટે મુશ્કેલી
અમદાવાદ:શહેરમાં પાર્કિગની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે અમદાવાદમાં નિવૃત ન્યાયાધીશને પણ પાર્કિંગની જગ્યા માટે આમરાણાંત ઉપવાસ પર ઉતરવાની ફરજ પડી રહી છે
આ અંગે મળતી માહિતી મુજબ, નિવૃત્ત જજ રઘુવીર ચૌધરીની અમદાવાદ સ્થિત મીઠાખળી ખાતે ઓફિસ આવેલી છે. આ ઈમારતમાં આવેલી 25 ઓફિસો માટે ફાળવેલા પાર્કિંગની જગ્યામાં બિલ્ડર અને તેના મળતિયાઓ દ્વારા દુકાનો અને ગોડાઉન બનાવી દેવામાં આવ્યા છે, પરિણામે કોમ્પલેક્સના વેપારીઓને પાર્કિગ માટે પરેશાનીનો સામનો કરવો પડે છે.
આ કોમ્પલેક્ષ રાધે બિલ્ડરના આશિષ પટેલ દ્વારા બનાવવામાં આવી છે. કોમ્પલેક્ષમાં કામ કરતા વેપારીઓ કોર્પોરેશનને પાર્કિગના પૈસા ચૂકવે છે. આમ છત્તા બિલ્ડર અને તેના મળતિયાઓએ પાર્કિગની જગ્યામાં ગોડાઉન બનાવી દીધા છે. આથી પોતાને પાર્કિંગ ના મળતું હોવાથી રઘુવીર ચૌધરીએ અનેક રજૂઆતો કરી છે, આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ અંગે રઘુવીર ચૌધરીએ જણાવ્યું કે, બિલ્ડર અને મળતિયાઓએ પાર્કિગ પર કબ્જો કરી લેતા અમારે અમારા વાહનો અન્ય જગ્યાઓ પાર્ક કરવા પડે છે. આ માટે અમારે ગાડી દીઠ રોજના 30 રુપિયા પાર્કિગ ચાર્જ આપવો પડે છે. હું છેલ્લા 8 વર્ષથી આ બાબતે રજૂઆતો કરી રહ્યો છું. આમ છત્તાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આથી મેં ન્યાય મેળવવા માટે આમરણાંત ઉપવાસ કરવા માટે પોલીસ પાસે મજૂરી માંગી છે.