ગુજરાત
News of Sunday, 13th January 2019

જંયતી ભાનુશાળીના હત્યામાં ATSઅે ત્રણને ઉપાડી લીધાઃ અમદાવાદ લાવી પૂછપરછ શરૂ

અમદાવાદ : ભાજપના દિગ્ગજ નેતા તરીકે જેમની ગણતરી થતી હતી અને કચ્છના રાજકારણના ખેરખા ગણાતા જયંતી ભાનુશાળીની હત્યાથી ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે. હત્યાના ચાર દિવસ બાદ આખરે જયંતી ભાનુશાળીના હત્યારાઓને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ભાનુશાળીની હત્યા કરનારા શૂટરોને પોલીસે ઝડપી પાડ્યાં છે. બંન્ને શૂટર્સ ઉપરાંત અન્ય ત્રણને પણ પોલીસે ઝડપી પાડ્યાં છે. તમામને  ATS સાંજ સુધીમાં અમદાવાદ લાવશે.

કચ્છના રાજકારણમાં દિગ્ગજ નેતા ગણાતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાળીની સોમવારે મોડી રાતે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારથી જ આ હત્યા સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત્યારે હવે ચાર દિવસ બાદ એટીએસને હત્યાનું પગેરુ મળી ચૂક્યું છે. ATSએ ભાનુસલીની હત્યા કરવામાં સામેલ શાર્પ શૂટર  શેખર અને સુરજીત ભાઉને ઝડપી પાડ્યા છે. બંને શૂટરો સિવાય અન્ય ત્રણ આરોપીઓ પણ પોલીસની ગિરફતમાં આવી ગયા છે. ત્યારે તમામ આરોપીઓને લઈને ATS સાંજ સુધી અમદાવાદ આવશે. ત્યારે તેમની પૂછપરછમાં અનેક નવા નામો ખૂલે તેવી શક્યતા છે. બંને શાર્પ શૂટર્સને કોણે જયંતી ભાનુશાળીની હત્યાની સુપારી આપી હતી તે નામ પર સૌની નજર છે.

તો બીજી તરફ, ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ તપાસમાં ભાઉ નામના શાર્પ શૂટરનું નામ ખૂલી ગયું હતું. જ્યંતી ભાનુશાળીની હત્યાના મામલે ગુજરાત બહાર ગયેલી SITની એક ટીમને મોટા પુરાવા હાથ લાગ્યા છે. ટ્રેનના કોચમાં હત્યાને અંજામ આપવા કુલ 4 લોકો આવ્યા હોવાનું સામે આવ્યું છે અને આ મર્ડર માટે પ્રોફેશનલ શુટર્સ બહારથી બોલાવાયેલા હોવાનું તપાસમાં ખુલતા જ સીટની ટીમે મહારાષ્ટ્રમાં તપાસનો દોર લંબાવ્યો હતો. જયંતી ભાનુશાળી સાથે સંબંધો બગડ્યા બાદ મનીષા ગોસ્વામીએ અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવતા પુણેના સુરજિત ભાઉ નામના વ્યક્તિ સાથે દોસ્તી કરી હતી. આ બન્ને ભેગા મળીને છોકરીઓનો ઉપયોગ કરી લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પડાવતા હતા. ત્યારે હવે જયંતી ભાનુશાળી હત્યામાં પણ સુરજીત ભાઉનું નામ સામે આવ્યું છે. ત્યારે આ હત્યાની સીધી આંગળી મનીષા તરફ ચિંધાઈ રહી છે. તો શું મનીષા ગોસ્વામી જ ખરી આરોપી છે?

ઉમેશ પરમારે સામી ફરિયાદ નોંધાવી

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં આરોપી તરીકે રહેલા ઉમેશ પરમારે સામી ફરિયાદ નોંધાવી. પોતાની સામે હત્યા અને ષડયંત્ર રચવાની ફરિયાદ નોંધાવનાર સુનિલ ભાનુશાળી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી અને પોતે નિર્દોષ હોવાની વાત તેણે કરી છે.

મનીષા ગોસ્વામીના પતિની તબિયત બગડી

જયંતિ ભાનુશાલી હત્યા કેસ આરોપી વાપીની મહિલા મનીષા ગોસ્વામીના પતિ ગજુ ગોસ્વામીની તબિયત લથડતાં તેને વાપીની જનસેવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેને મોડી રાત્રે દાખલ કરાયા બાદ સવારે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે, તે મીડિયા સામે કાંઈ પણ બોલવા તૈયાર ન હતો. સૂત્રો દ્વારા માહિતી મળી કે, હૃદયના ધબકારા વધી જવાને કારણે મનીષાના પતિ ગજું ગોસ્વામીને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યો હતો. ગજું ગોસ્વામી પોતાની પત્ની મનીષા ગોસ્વામીની ગુમ થયાની ફરિયાદ કરી શકે છે.

(5:20 pm IST)