ગુજરાત
News of Friday, 12th November 2021

NCP નેતા નવાબ મલિકના ડ્રગ્‍સ મામલે કરેલા આક્ષેપો પર ઠંડુ પાણી રેડતા ગુજરાતના મંત્રી કિરીટીસંહ રાણા

આરોપીનો હળાહળ જુઠા અને બેબુનિયાદ ગણાવ્‍યા

ગાંધીનગર : ગુજરાત ભાજપના નેતા અને સરકારમાં મંત્રી કિરીટ સિંહ રાણાએ એનસીપી નેતા નવાબ મલિકના આરોપો પર પ્રત્યુત્તર આપતા કહ્યું કે, NCP મંત્રી નવાબ મલિક દ્વારા કરવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા છે. જ્યારે હું મારા જાહેર જીવનમાં ઘણા લોકોને મળ્યો ત્યારે મને ખબર નથી કે કોણે ફોટા લીધા છે. પરંતુ ડ્રગ કેસના આરોપીઓ સાથે મારી કોઈ ઓળખાણ નથી તેથી આ આક્ષેપો તદ્દન ખોટા છે.

ઉલ્લેખનીય છે કે, NCPના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈ જ્યારથી ડ્રગ્સના કેસમાં ફસાયા છે ત્યારથી તે રોજેરોજ પ્રેસ કોન્ફરન્સમાં નવા-નવા આરોપો લગાવી રહ્યા છે. નવાબ મલિક અત્યાર સુધી મહારાષ્ટ્રના મંત્રીઓ પર આરોપ લગાવતા હતા પરંતુ આજે તેમણે ગુજરાતના ભાજપના મંત્રીઓ પર પણ નિશાન સાધ્યું છે. નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- મુન્દ્રા પોર્ટ બાદ દ્વારકામાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે, શું આ સંયોગ છે

મલિકે વધુમાં જણાવ્યું હતું કે મનીષ ભાનુશાલી, ધવન ભાનુશાલી, કિરણ ગોસાવી, સુનીલ પાટીલ સહિતના લોકો અમદાવાદની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણા સાથે તેમના નજીકના સંબંધો છે. આ એવા લોકો છે જેઓ ડ્રગ્સના વેપારમાં સામેલ છે. તો મારો પ્રશ્ન એ છે કે શું આ ડ્રગ ગેમમાં ગુજરાતની ભૂમિકા છે કે નહીં

(9:52 pm IST)