પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા માત્ર હિન્દુ ધર્મસ્થાનોના વિકાસ થતો હોવાનો આક્ષેપ : હાઇકોર્ટમાં સોગંદનામું
બોર્ડના સચિવ દ્વારા સોગંદનામું કરાયા બાદ જવાબમાં વળતું સોગંદનામું કરીને અરજદાર દ્વારા ઉક્ત આક્ષેપ કરાયો
અમદાવાદ : રાજ્યના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા માત્ર હિન્દુ ધર્મસ્થાનોના વિકાસ કરાતો હોવાનો આક્ષેપ હાઇકોર્ટ સમક્ષ એક સોગંદનામા મારફતે કરાયો છે હિન્દુ સિવાયના અન્ય ધર્મસ્થાનોનો પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા વિકાસ નહીં કરવામાં આવતાં અને તેનો સમાવેશ પવિત્ર યાત્રાધામ અંતર્ગત નહીં કરાતા સમગ્ર મામલે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી
. આ અરજીમાં રાજ્ય સરકાર વતી બોર્ડના સચિવ દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું હતું. જેના જવાબમાં વળતું સોગંદનામું કરીને અરજદાર દ્વારા ઉક્ત આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી હાઇકોર્ટ સમક્ષ 14મી નવેમ્બરના રોજ હાથ ધરાશે. અરજદાર મુજાહિદ નફીસ તરફથી એડવોકેટ કે.આર. કોષ્ટિએ કરેલી જાહેરહિતની અરજીમાં સોગંદનામું કરીને એવા મુદ્દા રજૂ કર્યા છે કે 1995માં પવિત્ર યાત્રાધામ બોર્ડનું ગઠન કરવામાં આવ્યું હતું અને 24 લાખ રુપિયાનું ફંડ છ ધર્મસ્થાનો (અંબાજી, ડાકોર, ગિરનાર, પાલિતાણા, સોમનાથ અને દ્વારકા)ને ફાળવવામાં આવ્યું હતું. 28 જુલાઈ 2017ના રોજ કેન્દ્ર સરકારના આદેશથી રાજ્યમાં બુદ્ધિસ્ટ સર્કિટ, જૂનાગઢ, ગિર-સોમનાથ, ભરૂચ, કચ્છ, રાજકોટ, ભાવનગર, મહેસાણાને 'સ્વદેશ દર્શન યોજના' હેઠળ વિકસાવવાનો નિર્ણય લેવાયાનું સરકારે જણાવ્યું છે અન્ય ધર્મોને પવિત્ર યાત્રાધામમાં સામેલ કરાતા નથી અને એમને ફંડ ફાળવવામાં આવતો નથી તે અરજદારની દલીલનો જવાબ અહીં મળતો નથી.
અરજદારે સોગંદનામામાં એવો વિરોધ પણ દર્શાવ્યો છે કે,'બોર્ડની વિવિધ યોજનાઓમાં વૃદ્ધો માટેની સ્કીમ હોય કે પછી સંત નગરી પ્રોજેક્ટ કે જેમાં રુપિયા 21.60 કરોડ વિકાસકામો માટે મંજૂર થયા છે. પરંતુ છેલ્લાં 23 વર્ષમાં બોર્ડ દ્વારા અન્ય ધર્મોના વિકાસ માટે કોઇ મદદ કરવામાં આવી નથી અને એકપણ ઇસ્લામિક ધાર્મિક સ્થાનનો વિકાસ કરાયો નથી. જૂનાગઢમાં 20 કરોડના ખર્ચે હિન્દૂ, જૈન, બૌધ્ધ સ્થળોનું કામ થઇ રહ્યું છે. લખપત અને બેટ દ્વારકાના ગુરુદ્વારા માટે પણ નાણાકીય ભંડોળ અપાયું છે.' ઇસ્લામિક ધર્મસ્થળોના વિકાસ માટેના આદેશો હોવા છતાંય સંબંધિત જિલ્લા કલેક્ટરો દ્વારા તેનો અમલ કેમ કરવામાં આવતો નથી તેવો પ્રશ્ન પણ અરજદારે સોગંદનામામાં ઉપસ્થિત કર્યો છે.
તેમણે જણાવ્યું છે કે ભડયાદ પીર, ઇમામશા રોઝા સેવા ટ્રસ્ટ, પીરાણા, પીર કમલ મસ્જીદ, ખલીફા રોઝા(દાણીલિમડા) હઝરત સૈયદ અલી મીરાદાંતાની દરગાહ ઊંઝા, શાહ બાવા દરગાહ વાંકાનેર જેવા સ્થળોને વિકસાવવાના પ્રસ્તાવો કલેક્ટરો જોડેથી મંગાવવા છતાંય ઇસ્લામિક ધર્મસ્થળોને વિકસાવવાના પ્રસ્તાવ રજૂ કરવામાં આવતાં નથી. આ કેસમાં એવી રજૂઆત છે કે પવિત્ર યાત્રાધામના સ્થળોમાં માત્ર હિન્દુ ધર્મના સ્થળોનો સમાવેશ કરવાની બાબત ગેરબંધારણીય છે. કેમ કે દરેક સરકાર બંધારણ મુજબ સેક્યુલર હોવી જોઇએ.!