ઉત્તર ભારતના પરપ્રાંતિયો ઉપર ગુજરાતમાં ખતરોઃ તહેવાર ઉજવવા નહીં પરંતુ ભયથી જ ભાગી રહ્યાનું તારણ
અમદાવાદઃ રાજ્યમાં પરપ્રાંતીયો પર હુમલા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને જણાવ્યું છે કે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતીયોનું સ્થળાંતર થયુ નથી. જો કે આ મામલે 165 જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને એક ડઝન જેટલા લોકોની નોન-ગુજરાતીઓને ડરાવવા ધમકાવવા અને પરપ્રાંતીયોને ટાર્ગેટ કરતા મેસેજ સોશિયલ મીડિયા પર ફેલાવવા માટે ધરપકડ કરવામાં આવી છે. ગૃહમંત્રીએ પાંગળો બચાવ કરતા કહ્યું હતું કે જે લોકો ગુજરાતના વિકાસની ઈર્ષ્યા કરે છે અને 22 વર્ષથી સત્તા પર નથી આવી શક્યા તે લોકો આવી વાત ફેલાવે છે. જો કે ગુજરાતના રાજકારણીઓ જૂઠ્ઠુ બોલી રહ્યા છે અને લોકોને છેતરી રહ્યા છે. રાજકારણીઓ એવી વાત ફેલાવી રહ્યા છે કે પરપ્રાંતીયો તહેવાર ઉજવવા તેમના વતન જઈ રહ્યા છે અને તેમણે એડવાન્સમાં ટિકિટો બુક કરાવી છે પરંતુ આ વાત સાવ ખોટી છે. અમારા સહયોગી અખબાર અમદાવાદ મિરરે આ અંગે વિગતે તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે ઉત્તર ભારતના પરપ્રાંતીયો પર ગુજરાતમાં ખતરો તોળાઈ રહ્યો છે. સાબરકાંઠામાં 14 મહિનાની બાળકી પર બાળાત્કાર બાદ બધા જ ઉત્તર ભારતીયોને પાઠ ભણાવવાનું ઝેર ગુજરાતમાં ફેલાવવામાં આવી રહ્યું છે.
મોટી સંખ્યામાં સ્થળાંતરઃ
ગુજરાતમાંથી મજૂર, સિક્યોરીટી ગાર્ડ, માળી અને નાના વેપારી તરીકે કામ કરતા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના 75,000 જેટલા પરપ્રાંતીયોએ ગુજરાતમાં તેમને અનુકૂળ માહોલ ન મળતા સ્થળાંતર કરી દીધું છે. ગુજરાત સરકાર કહી રહી છે કે તે છઠ પૂજા માટે જઈ રહ્યા છે પણ આ વાત સાચી નથી. આ વખતે છઠ પૂજા 13 નવેમ્બરે છે. એટલે કે આ તહેવારને હજુ મહિનાની વાર છે. ગયા વખતે છઠ પૂજા 26 ઓક્ટોબરે હતી. ભારત સરકારના આંકડા મુજબ રેલવે ટ્રાફિકમાં 137 ટકાનો વધારો છે.
ગુજરાત છોડવાની મળી છે ધમકીઃ
અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ 9 ઓક્ટોબરે અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લઈને સ્થળાંતર કરતા પરપ્રાંતીયો સાથે વાત કરી હતી. ત્યાર પછી રેવન્યુ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમારે પણ સાબરમતી રેલવેસ્ટેશન પર પરપ્રાંતીયોની મુલાકાત લીધી હતી. બંનેએ જણઆવ્યું હતું કે ચિંતાની કોઈ વાત નથી અને તેઓ તહેવાર મનાવવા જઈ રહ્યા છે. તેમને શાંત અને પ્રેમાળ ગુજરાત માફક આવી ગયું છે. જો કે અમદાવાદ મિરરે સ્થળાંતર કરી જનારા લોકો સાથે વાત કરી ત્યારે બોડકદેવામાં માળી તરીકે કામ કરતા રામ યાદવે જણાવ્યું, “હું બોપલ રહુ છે. મારા ઘરમાલિકે આવીને મને રૂમ ખાલી કરવા જણાવ્યું. છેલ્લા 10 દિવસથી મારા પરિવારે ઘરની બહાર પગ નથી મૂક્યો. અમે ડર છે કે અમને કોઈ મારશે.” સાબરકાંઠામાં જે 14 મહિનાની છોકરીનો રેપ થયો તે ઠાકોર સમાજની હતી. ત્યાર પછી પરપ્રાંતીયો તરફ ઠાકોરોનો રોષ વધી ગયો છે. આ ઘટના 28 સપ્ટેમ્બરે બની હતી અને 10 દિવસ પછી અમદાવાદ પોલીસે પરપ્રાંતીયોની સુરક્ષા માટેના પ્રયત્ન શરૂ કર્યા હતા.
રેલવેમાં ધસારો વધ્યોઃ
રેલવેનો ડેટા દર્શાવે છે કે ઓક્ટોબર 5થી 7 વચ્ચે ચાર મોટા સ્ટેશનમાં પેસેન્જરનો ટ્રાફિક વધી ગયો છે. રેલવેના અધિકારીઓ પણ માને છે કે ટ્રાફિક પરપ્રાંતીયો પરના હુમલાને કારણે જ વધ્યો છે. જે લોકો બિહાર જવા માટે ટિકિટ બુક કરાવી દીધી હતી તે પણ વહેલી ટિકિટ કઢાવી રહ્યા છે. જો કે સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં થોડી અતિશયોક્તિ હોવાનું પણ તેમણે જણાવ્યું.
સેલેરી, બોનસ વિના જવુ ન પરવડેઃ
અધિકારીઓ એવુ કહી રહ્યા છે કે લોકો તહેવાર મનાવવા જઈ રહ્યા છે પરંતુ ઉત્તર ભારતીય વિકાસ પરિષદના હેડ શ્યામ સિંહ ઠાકુરે જણાવ્યું, “પરપ્રાંતીય મજૂરો ખાસ કરીને સ્કિલ ન ધરાવતા લોકોને તહેવારના એક મહિના પહેલા વતન જવુ પરવડે તેમ જ નથી. તે એક મહિનાની સેલેરી અને તહેવાર ઉજવવા માટેનું બોનસ જતુ કરી જ ન શકે.” પરપ્રાંતીયોની આર્થિક સ્થિતિ પર પડનારી અસર અંગે વાત કરતા ઠાકુરે જણાવ્યું, “તેમને મહિનાની 10 કે 12 તારીખે પગાર મળે છે. આથી મોટાભાગના લોકોની સપ્ટેમ્બરની સેલેરી બાકી હશે. ફેક્ટરી માલિકો તેમના એકાઉન્ટમાં એડવાન્સ સેલેરી કે ડિપોઝિટ જમા કરાવે તો પણ તેમને ઓક્ટોબર મહિનાની સેલેરીમાં નુકસાન જશે. વળી, તે આખુ વર્ષ કામ કરતા હોવાથી બોનસ પણ નહિં છોડે.” પરપ્રાંતીયો સામાન્ય રીતે તહેવાર પહેલા વધુ કામ કરે છે જેથી તે ગરીબીમાં જીવતા પોતાના પરિવાર માટે વધુ પૈસા લઈ જઈ શકે. આથી તે દિવાળીના અઠવાડિયા પહેલા જ બોનસ લઈને વતન જાય છે.