ગુજરાત
News of Friday, 12th October 2018

અમદાવાદ જિલ્લાના સાણંદ ઇન્‍ડસ્‍ટ્રીયલ અેસ્ટેટમાંથી હિજરત કરી ગયેલા કામદારો પરત આવતા ઉદ્યોગકારોમાં રાહત

અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયામાં સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી 4000 જેટલા નોન-ગુજરાતી કામદારોએ હિજરત કરતાં ઉદ્યોગકારો ચિંતામાં ગરકાવ થયા હતા. જો કે, હવે કામદારોએ પાછા ફરવાનું શરૂ કરતાં ઉદ્યોગકારોએ રાહતનો શ્વાસ લીધો છે. સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, એક-બે દિવસમાં કામદારો ફરીથી કામ શરૂ કરી દેશે તેવી આશા છે.

સાણંદ ઈન્ડસ્ટ્રીઝ અસોસિએશનના પ્રમુખ અજિત શાહે જણાવ્યું કે, “સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે કેટલાક કામદારોને શિરડીની જાત્રાએ મોકલ્યા હતા. હવે મોટાભાગના કામદારો પરત આવી ગયા છે અને તેમણે અમને ખાતરી આપી છે કે તેઓ એક-બે દિવસમાં ફરીથી કામકાજ શરૂ કરશે. તો બીજી તરફ ફેક્ટરી માલિકો જે કામદારો પોતાના ગામડે જતાં રહ્યા છે તેમને ગુજરાત પાછા આવવા માટે સતત ફોન કરી રહ્યા છે. કામદારો અહીં સુરક્ષિત છે તેવી ભાવના સતત તેમનામાં જાગૃત કરવામાં આવી રહી છે. સાથે વર્ક્સનો ટ્રાવેલિંગનો ખર્ચો પણ અમે ઉપાડવા તૈયાર છીએ.”

છેલ્લા થોડા દિવસથી ઉત્પાદન બંધ થઈ જતા ઉદ્યોગકારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કન્સ્ટ્રક્શન માટે વપરતાં સાધનોનું ઉત્પાદન કરતા યુનિટના માલિક નીરજ શાહે કહ્યું કે, “વર્ક્સ છેલ્લા 4-5 દિવસથી યુનિટમાં આવતા નથી જેના કારણે કામકાજ મંદ પડ્યું છે. મોટાભાગના વર્ક્સ જતા રહ્યા છે જેના કારણે દરરોજનો ટાર્ગેટ પૂરો નથી થઈ શકતો. અમુક વર્ક્સ હવે પાછા આવી ગયા છે ત્યારે અમને આશા છે આગામી બે દિવસમાં યુનિટ્સ ફરીથી ધમધમતાં થશે.”

પરપ્રાંતીય કામદારોએ હિજરત કરતાં ઈન્ડસ્ટ્રીયલ યુનિટ્સને કામ ચાલુ રાખવા માટે વધારે રૂપિયા ખર્ચવા પડ્યા. નીરજ શાહે વધુમાં કહ્યું કે, “અમે ધંધો સંપૂર્ણપણે તો બંધ ના કરી શકીએ એટલે સ્થાનિક કામદારોની મદદ લઈને જે-તે કામકાજ ચાલુ રાખ્યું. સ્થાનિક કામદારો દોઢ ગણો પગાર માગે છે જે રોજિંદા ધોરણે પોસાય તેમ નથી.”

(6:00 pm IST)