નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગ-ધંધાને મુશ્કેલી
કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીનો આક્ષેપ
અમદાવાદ,તા.૧૧ : ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને મદદ કરવાની નીતિ અને બીજીબાજુ નાના-મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહનના અભાવે સતત આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને અવગણવાના લીધે આર્થિક કટોકટીમાં મુકાયા છે. તેવો આક્ષેપ કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો છે. વિરોધપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ યાદીમાં જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં સામાન્ય અને મધ્યમ વર્ગને સૌથી વધુ નુકસાન થયું છે. લોકડાઉનના ૭૦ દિવસમાં ભાજપના શાસનમાં આર્થિક ચિત્ર ખુલ્લું થઈ ગયું છે. કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને જીએસટી લેણા પેટેના ૧૨ હજાર કરોડની રકમ બાકી રાખી ગુજરાતને અન્યાય કરેલ છે. ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સની આવક કોરોનાને પગલે તળિયે આવી ગઈ છે. કોરોના મહામારીને લીધે રીટેલ બજારોની સાથો સાથ ઓદ્યોગિક ગતિવિધિ ઘટી રહી છે. ટેક્સટાઈલ, કેમીકલ, અને ડાયમંડ ઈન્ડસ્ટ્રી પારાવાર મુશ્કેલમાં છે. પ્રવાસન ઉદ્યોગ અને હોસ્પિટલાટી ઉદ્યોગ સંદતર બંધ છે. ધણા બધા સેક્ટરમાં કર્મચારીઓના કાપ સાથે પગાર કાપમાં ઘટાડો કર્યો છે.