ગુજરાત
News of Thursday, 12th September 2019

સુરત : ૪ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી

સોશિયો સર્કલ-સિવિલમાં પાણી ફરી વળ્યા : લિંબાયત, પરવત પાટીયા સહિતના વિસ્તારોના રોડ પણ પાણીમાં ગરકાવ થયા : વાહનચાલકો રસ્તામાં અટવાયા

અમદાવાદ, તા.૧૨ :  સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. આજે ગણેશ વિસર્જનના દિવસે વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડયો  હતો., જેમાં આજે બપોરે ચારથી પાંચ કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં સુરતના મોટાભાગના વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને સોશિયો સર્કલ પાસે રોડ પર પાણી ભરાઇ ગયા હતો તો,   ધોધમાર વરસાદના પગલે સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ પાણીનો ભરાવો થઈ ગયો હતો, જેને લઇ દર્દીઓ અને સ્ટાફ કર્મચારીઓમાં ભારે ચકચાર મચી ગઇ હતી.  વરસાદી પાણી ભરાતાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ કર્મચારીઓ અને તંત્ર તાકીદે પાણીના નિકાલ માટે કામે લાગ્યા હતા.

ચારથી પાંચ કલાકના ધોધમાર વરસાદે સુરતના જનજીવનને જાણે પ્રભાવિત કરી દીધુ હતુ. સુરતમાં સોશિયો સર્કલ, લિંબાયત, પરવત પાટીયા સહિતના વિસ્તારોના રોડ પર પાણી ભરાઈ જતાં લોકો ભારે હાલાકીમાં મૂકાયા હતા. તો, માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકો રસ્તામાં અટવાયા હતા. ભારે વરસાદના કારણે, સુરત સિવિલ હોસ્પિટલમાં પણ પાણીનો ભરાવો થતા દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદ વચ્ચે પણ સુરતમાં ગણેશભકતોએ એટલા જ ભકિતભાવ અને હર્ષોલ્લાસ સાથે ગણેશ વિસર્જન કર્યું હતું.

(8:33 pm IST)