સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઇપ બેન્ડ દ્વારા વિશેષ સેલ્યુટ તથા વિશ્વ શાંતિ પ્રાર્થના
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સહિત સંતો ભક્તોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
વિરમગામ: ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" જે વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા છે. આઝાદી બાદ એકતા અને અખંડિતતાના બળે સમગ્ર દેશને એક સૂત્રે બાંધીને પોતાના શક્તિ - સામર્થ્યનો પરિચય આપનારા લોહ પુરુષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ના નિર્માણ દ્વારા વિરલ વ્યક્તિને ગુજરાતી વૈશ્વિક ઓળખ આપી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વમાં ભારત રાષ્ટ્રના ગરવી ગુજરાતના ગુલાબી ગુંજન ગગન ગુંજી રહ્યું છે એ વિશ્વમાં એક અજોડ અલૌકિક ઐતિહાસિક હકીકત છે. ભવ્ય ભાતીગળ ભારત રાષ્ટ્રના નિર્માણમાં સિંહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો અજોડ, અનન્ય અને અદ્વિતીય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વાર્ષિક ઉજવણી પ્રસંગના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ પોતાના સંતો-ભક્તો તેમજ સંસ્થાનનું વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ સહિત પધારી, બહાદુર અને બાહોશ સરદાર વલ્લભભાઈ પટેલને સેલ્યુટ કર્યુ હતુ. અને વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી
. અત્રે ઉલ્લેખનિય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલશ્રીનું સ્ટેચ્યુ સરદાર સરોવર ડેમના વ્યુ પોઈન્ટ પર પ્રથમ પ્રેરણાત્મક સ્થાપન બે દાયકા પૂર્વે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ તત્કાલીન ભારત સરકારના ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.