ગુજરાત
News of Thursday, 12th September 2019

પ્રેમલગ્ન કરી લેનાર યુવતીનું તેના પરિવાર દ્વારા અપહરણ

યુવતીના પરિજનો દ્વારા જીવલેણ હુમલો : યુવતીના પરિવારના સભ્યો દ્વારા હુમલો કરાતા યુવકના પિતા સહિત ત્રણને ઇજાઓ : હોસ્પિટલમાં ખસેડવા પડ્યા

અમદાવાદ, તા.૧૧ : નવરંગપુરા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારજનોને યુવતીના પરિવાજનોએ ઢોર માર મારવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જૈન દેરાસરમાં સમાધાનના બહાને બોલાવી ૧૦ જેટલા શખ્સોએ યુવકના પરિવાર પર લાકડી અને ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. માર માર્યા બાદ યુવતીને ગાડીમાં બેસાડી અપહરણ કરી પરિવાજનો નાસી છુટ્યા હતા. મારામારીમાં યુવકના પિતા સહિતના ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા નવરંગપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સોલાના મહાલયા બંગલોમાં રહેતા અને ચશ્માની દુકાન ધરાવતા ભાવિન શાહ નામના યુવકે તેમની જ સોસાયટીમાં રહેતી પલક દેસાઇ નામની યુવતી સાથે ૨૦૧૬માં પ્રેમલગ્ન કર્યા હતા.

                 જો કે, આ લગ્નથી યુવતીના પરિવારજનો નારાજ હતા. ત્રણ દિવસ પહેલા બંન્ને રાજકોટ ગયા હતા. ત્યારબાદ ગઇકાલે બંન્ને પરત આવ્યા હતા. ભાવિનના પિતાએ તેને જણાવ્યું હતું કે, પલકના માતા-પિતા પ્રેમલગ્ન બાબતે સમાધાન કરવા માંગે છે, જેથી તેઓ ગઇકાલે સાંજે ચાર વાગે નવરંગપુરા બસ સ્ટેશન પાસે આવેલા જૈન દેરાસરમાં બંન્ને પરિવારજનો ભેગા થયા હતા. યુવતીના તરફથી હરજીભાઇ અને ધરમજીભાઇ દેસાઇ આવ્યા હતા. દેરાસરની ટ્રસ્ટની ઓફિસમાં જ પતિ પત્ની અને તેમના પરિવારજનો હાજર હતા. ત્યારે અચાનક જ યુવતીના પરિવારજનો અને તેના ભાઇઓ હાથમાં લાકડી અને હોક્કીસ્ટીક સાથે ધસી આવ્યા હતા અને બળજબરીપૂર્વક યુવતીને ગાડીમાં બેસાડીને લઇ ગયા હતા. એટલું જ નહી, યુવકના પિતા, તેના પિતરાઇ ભાઇ સહિતના લોકો સાથે મારામારી કરી હુમલો કર્યો હતો.

(9:34 pm IST)