ગુજરાત
News of Thursday, 12th September 2019

સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ટુંકમાં જ ઘોષિત

ભાજપ જીત માટે વ્યૂહરચના ગોઠવવામાં વ્યસ્ત : લોકસભા માટે ચૂંટણી બાદ યોજાનારી પેટાચૂંટણીને લઈને ભાજપ અને કોંગીની તૈયારીઓ : બેઠકોનો દોર શરૂ કરાયો

અમદાવાદ,તા. ૧૧ :    ગુજરાત વિધાનસભાની સાત બેઠકોની પેટાચૂંટણી આગામી એકાદ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. આ પેટાચૂંટણીમાં પ્રતિષ્ઠાભરી રાજકીય જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસે ખાસ વ્યૂહરચના તૈયાર કરી ઉમેદવારોની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોંગ્રેસમાં પ્રભારી રાજીવ સાતવ પ્રદેશના નેતાઓ સાથે બેઠકોનો દોર કરી રહ્યાં છે. ત્યારે ભાજપે પણ પ્રદેશના આગેવાનોની સાથે બે મંત્રીઓને પણ પેટાચૂંટણી માટેની જવાબદારી સોંપી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. પેટાચૂંટણીને લઇ ગઈકાલે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સાતેય બેઠક પર સંગઠન અને સરકારમાંથી મળી પ્રત્યેક બેઠક માટે બે-બે ઈન્ચાર્જ નીમવાની જાહેરાત કરી હતી.

               આ ઈન્ચાર્જ સંબંધિત મતવિસ્તારમાં પ્રદેશથી લઈ સ્થાનિક સ્તરનું એક નેટવર્ક ગોઠવશે. આ સાથે જ હવે કોંગ્રેસમાંથી રાજીનામા આપી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરને રાધનપુર અને ધવલસિંહ ઝાલાને બાયડ બેઠક માટે ભાજપ ટિકિટ આપશે કે કેમ તેને લઈ ચર્ચાઓ વહેતી થઈ છે. જો કે, આ બંને બેઠકો પર ઉમેદવાર જાહેર કરતા પહેલા હાઈકમાન્ડનો અભિપ્રાય લેવાશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ૨૬ સાંસદોમાંથી ત્રણ ધારાસભ્યો સાંસદ બનતાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડાની બેઠકો ખાલી પડી હતી. મોરવા હડફ પર ૨૦૧૭માં ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટના અનુસુચિત જનજાતિ સર્ટિફિકેટ અયોગ્ય ઠરતાં ચૂંટણીપંચે એમની ઉમેદવારી રદ કરી હતી. જેથી આ બેઠક ખાલી પડી હતી.

              જ્યારે લુણાવાડાના અપક્ષ રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભા ૨૦૧૯માં પંચમહાલ બેઠકની ટિકિટ આપી હતી. જેમનો વિજય થયો હતો. આથી તેમને લુણાવાડા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. તો, બીજીબાજુ, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, પાટણ માટે ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી, બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય પરબત પટેલ સાંસદ બનતા ચારેય બેઠકો ખાલી પડી હતી. લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. આમ, હવે એકાદ સપ્તાહમાં આ સાતેય વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની તારીખો જાહેર થવાની શકયતા હોઇ ભાજપ અને કોંગ્રેસ આ તમામ બેઠકો કબ્જે કરવાની રણનીતિ ઘડવામાં સક્રિય બન્યા છે.

(8:42 pm IST)