ગુજરાત
News of Thursday, 12th September 2019

મહેસાણામાં હોટલ માલિક પર હુમલાને લઇ પ્રજાપતિ સમાજ દ્વારા મૌન રેલીઃ કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ

મહેસાણા: તાજેતરમાં મહેસાણાની સહજાનંદ રેસ્ટોરન્ટમાં કેટલાક અસામાજીક તત્વોએ માલિક સહિતના ઉપર હુમલો કર્યો હતો. જેને લઇ પ્રજાપતિ સમાજમાં ભારે નારાજગી ફેલાઇ છે. જે સંદર્ભે બુધવારે એક રેલીનું આયોજન કરી કલેક્ટર કચેરી જઇ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ રેલીમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ સહિતના લોકો જોડાયા હતા.

મહેસાણાની સહજાનંદ રેસ્ટોરન્ટમાં થોડાક સમય અગાઉ અસામાજીક તત્વોએ માલિક સહિતનાઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તે ઘટનાના સીસીટીવી સામે આવતા પ્રજાપતિ સમાજમાં ભારોભાર નારાજગી ફેલાઇ છે. જેને અનુલક્ષી સર્વ ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મંગળવારે સવારે ૧૦ વાગે નીકળેલી મૌન રેલી મહેસાણા પ્રજાપતિ સમાજની વાડીથી નીકળી ભમરિયા નાળા, તોરણ વાડીથી કલેક્ટર કચેરી પહોંચી  હતી.

મૌન રેલી કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ સમાજના આગેવાનો સહિતનાએ કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ. આ રેલીમાં પ્રજાપતિ સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(5:23 pm IST)