પીઠા પહાડ ફળિયા- કૂવામાંથી રાષ્ટ્રીય પક્ષી મોરની મદદે આવ્યા જીવદયા પ્રેમીઓ
વલસાડ ડેપોના કંડકટર મુકેશભાઈ છગનભાઈ પટેલના ખેતરમાંના ૪૨ ફૂટ ઊંડા કૂવામાં રાષ્ટ્રીય પક્ષી મોર કોઈ કારણોસર પડી જતા બહાર નીકળી શકતો ન હતો
(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :કલવાડા ગામનું ડુંગરિયા પહાડ ફળિયા- પીઠા પાટિયા નજીક આવેલું છે ત્યાં રહેતા વલસાડ ડેપોના કંડકટર મુકેશભાઈ છગનભાઈ પટેલના ખેતરમાંના ૪૨ ફૂટ ઊંડા કૂવામાં રાષ્ટ્રીય પક્ષી મોર કોઈ કારણોસર પડી જતા બહાર નીકળી શકતો ન હતો, કદાચ આખી રાત પાણીમાં વિતાવી હોઈ શકે.ઊંડો કૂવો હોય મોરને બચાવવા માટે વલસાડ નગરપાલિકાના કર્મી જાણીતા જીવદયા પ્રેમી મહેશભાઈ ચૌહાણને બોલાવતા યુવાનોના સહકારથી કૂવામાં ઉતરીને ધોતી કપડાથી મોરને પકડીને સહી-સલામત બહાર કાઢ્યો હતો જેમાં મહેશભાઈને સારી એવી મહેનત કરવી પડી હતી.બહાર કઢાયેલા મોરને દેશી સારવાર કરી થોડીવાર આરામ કરાવ્યો કેમકે તે ઘેનવાઈ ગયો હતો અને ઉડી શકતો ન હતો. ત્રણેક કલાક બાદ રાહત થતા મોરને ગગનવિહારી બનાવાયો હતો. જે માટે મુકેશભાઈએ મહેશભાઈ ચૌહાણનો નિસ્વાર્થ સેવા માટે ખાસ આભાર માન્યો હતો.