ગુજરાત
News of Friday, 12th July 2019

ગુજરાત રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા

સ્કુલ બસ-વાન-રીક્ષા માટે નિયમો ઘડાયા

મંજુરી વગર વાહન CNG-PNG ગેસ પર ચલાવવું એ ગુન્હો

ગાંધીનગર, તા.૧૨: રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજયમાં સ્કૂલ વાન, બસ કે રીક્ષાની ઘટનાઓને ધ્યાને લઈને માર્ગ સલામતી માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ અંતર્ગત બાળકોને સ્કૂલે લઈ જતા વિવિધ વાહનોના ડ્રાઈવરોએ સલામતી માટે જરૂરી પગલા ભરવા આદેશ કરવામાં આવ્યો છે.

સ્કૂલ વાહનોએ આ નિયમોનું પાલન કરવું -સ્કૂલ બસને પીળો રંગ કરેલો હોવો જોઈએ, બસની આગળ અને પાછળના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ.

-ડ્રાઈવરની માહિતી (નામ, સરનામું, લાયસન્સ નંબર, ટેલીફોન નં.) અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે જોઈ શકાય તેમ લખાયેલો હોવો જોઈએ.

બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી હોવી જોઈએ, બસમાં પડદાં કે કાચ પર ફિલ્મ લગાવેલીના હોવી જોઈએ.

સ્કૂલ બસમાં સ્પીડ ગર્વનર લગાવેલું હોવું જોઈએ તેમજ ગતિ મર્યાદા ૪૦ કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ.

સ્કુલ બસની બેઠકો બિન દહનશીલ પદાર્થથી બનેલી હોવી જોઈએ

બસની અંદર GPS અને CCTVની વ્યવસ્થા કાર્યરત હોવી જોઈએ.

સ્કૂલ બસમાં ફર્સ્ટ એઈડ બોકસ અને પીવા માટેનું પાણી હોવું જોઈએ.

બાળકોના સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટેની જગ્યા હોવી જોઈએ.

સ્કૂલ બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિસંકેતનું સાધન હોવું જોઈએ જેથી, આપત્ત્િ।ના સમયે ચેતવણી આપી શકાય.

બસની અંદર પૂરતું અજવાળું હોવું જોઈએ તેમજ અંદર થતી પ્રવૃત્ત્િ।ઓ બહારથી દ્રશ્યમાન હોવી જોઈએ.

બાળકોને શાળાએથી ઘરે લઈ જવા માટે ઓટો રીક્ષા કે મારૂતિવાન જેવા વાહનોનો વધુ ઉપયોગ થાય છે. જેમાં સ્કૂલવર્ધીના વાહનોમાં ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ૧ સીટ દીઠ બે બાળકો બેસી શકે તેવી જોગવાઈ છે. ખાનગી રજિસ્ટ્રેશન ધરાવતા વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા-લઈ જવા એ ગંભીર ગુનો છે. તેમજ સ્કૂલવર્ધી વાહનોમાં મંજૂરી લીધા વગર CNG અને PNG ગેસ પર વાહન ચલાવવું એ પણ ગંભીર ગુનો છે.

વાહન ચલાવવા માટે ડ્રાઈવરે ફોટોવાળો બેજ પહેરવો જરૂરી છે. સ્કૂલ વાહન ચલાવતી વખતે ડ્રાઈવરે સ્કૂલ બસની રોડ પર ચલાવવાની યોગ્યતાનું પ્રમાણપત્ર પણ સાથે રાખવું ફરજિયાત છે. આ ઉપરાંત વીમો, ટેક્ષ, પરમીટ, પીયુસી, ફિટનેશ અને અધિકૃત ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ. શાળાઓએ સ્કૂલ બસમાં કે અન્ય દ્વારા આવતા બાળકોની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. બાળકોની માર્ગ સલામતી માટે લેવામાં આવેલાં પગલાઓ અંગે દરેક શાળા, વાલીઓએ અને વિદ્યાર્થીઓએ પણ વધુ જાગૃત થવાની જરૂર છે.

(11:26 am IST)