ગુજરાત
News of Friday, 12th July 2019

રાજ્યમાં ભાજપની 24 વર્ષની સરકારને કારણે ખેડૂતો દેવાદાર 20 વર્ષમાં એકપણ ડેમ બનાવ્યો નથી;વિક્રમ માડમની સટાસટી

ભાજપના રાજમાં ટેકાના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી બની

ગાંધીનગર ::વિધાનસભા સત્ર દરમિયાન ખેડૂતોના દેવામાફી મામલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ પ્રત્યારોપ થયા હતા જેમાં કોંગ્રેસ તરફથી વિક્રમ માડમે કહ્યું કે 24 વર્ષની ભાજપ સરકારે ખેડૂતોના હિતમાં કામ કર્યા નથી જેનાથી ખેડૂતો દેવાદાર બન્યા છે, જ્યારે જવાબમાં નીતિનભાઈ  પટેલે કહ્યું કે ગુજરાતના પ્રમાણિક, મહેનતું અને સચ્ચાઇને વરેલાં ખેડૂતો જે ધિરાણ મેળવે છે તે પરત કરે છે. ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં તેમને બદનામ કરવાનું બંધ કરવું જોઇએ.

  ધારાસભ્ય વિકમ માડમે જણાવ્યું કે ગુજરાતમાં ભાજપની 24 વર્ષની સરકારે ખેડૂતોના હિતમાં કામ કર્યા નથી અને ખેડૂતો દેવા દાર બન્યા છે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોને ટેકાના ભાવ વધુ મળતા હતા, વર્ષ 2012માં 1200 રૂપિયા મગફળીના ભાવ હતા, ટેકાના અને કપાસના ભાવ 1400 રૂપિયા હતા જ્યારે ભાજપની સરકારમાં ટેકાના ભાવ તળિયે જતા 700 રૂપિયાથી 900 રૂપિયા કરવામાં આવ્યા જેથી ખેડૂતોની હાલત ખરાબ જોવા મળી રહી છે

   ભાજપ સરકારે છેલ્લા 20 વર્ષમાં એક પણ ડેમ બનાવ્યો નથી, ખેડૂત સવારથી રાત સુધી કામ કરે તો આખા દિવસની કામાણી 125 રૂપિયા મળે છે ખેડૂતો પર સરકારનો વેરાનો વાર જોવા મળી રહ્યો છે જેમાં ખેત પેદાશો, ઓઝાર, સહિત ખાતર જેવા ચીજવસ્તુઓ પણ જીએસટી લાદીને ખેડૂતોની કમર તોડી નાખી, ડુપ્લીકેટ બિયારણ વેચનાર સામે રાજય સરકાર સખત પગલાં લેવામાં આવતા નથી.

 કોંગ્રેસના આક્ષેપ સામે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે જણાવ્યું કે અગાઉ યુ.પી.એ. સરકારે રૂ.૭૨ હજાર કરોડના કૃષિ દેવાની માફી આપી હતી. છતાં ખેડૂતો ફરીથી દેવાદાર કેમ બને છે? ખેડૂતોને જે જે સુવિધાઓ સમયસર મળવી જોઇએ તે સુવિધા અગાઉની સરકારે સમયસર પૂરી પાડી નથી. જેના પરિણામે ખેડૂતોની સ્થિતિ કથળી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કૃષિલક્ષી નીતિઓના કારણે ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ બન્યા છે

  કેટલાંક લોકોની દેવા માફીની વાત ઉપર પીન ચોંટી ગઇ છે, એવી માર્મિક ટકોર કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકોએ ધિરાણ અને દેવા વચ્ચેનો તફાવત સમજવો જોઇએ. પોતાની આવશ્યકતા અનુસાર ખેડૂતો લોન મેળવે એટલે દેવાદાર કહેવાય નહીં. ધિરાણ પરત કરવામાં અસમર્થ ખેડૂતો દેવાદાર કહેવાય અને ગુજરાતના ૯૫ ટકા ખેડૂતો સમયસર કૃષિ ધિરાણ પરત કરે છે. આવા નિષ્ઠાવાન ખેડૂતોને દેવાદાર કહીને બદનામ કરનારાઓએ રાજ્યના ખેડૂતોના હિતમાં આવી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઇએ.

(9:19 pm IST)