ગુજરાત
News of Thursday, 12th July 2018

૪૨૦ મિલિયનથી વધુ લોકો દેશમાં ફરવા માટે પહોંચે છે

અમદાવાદમાં પહેલી પેપરલેસ ઇવેન્ટ યોજાઇઃ ગ્લોબલ પેનોરમા શોકેસની ટ્રાવેલ્સ-ટુરીઝમ વિશે ત્રણ દિવસીય ઇવેન્ટનું મેયર બીજલ પટેલના હસ્તે ઉદઘાટન

અમદાવાદ, તા.૧૨: ભારત ધીરે ધીરે ટ્રાવેલ્સ અને ટુરીઝમનું હબ બનવા તરફ પ્રગતિશીલ હરણફાળ ભરી રહ્યું છે. વિદેશ પ્રવાસ કરતાં ભારતીય લોકો ડોમેસ્ટીક પ્રવાસ વધુ પસંદ કરે છે અને તે જ કારણ છે કે, દર વર્ષે ભારતમાં વિવિધ રાજયોમાં આવેલા પ્રાદેશિક પ્રવાસન સ્થળો પર ભારતમાંથી જ આશરે ૪૨૦ મિલિયનથી વધુ પ્રવાસીઓ ટુર પ્રવાસે ફરવા જાય છે. વિદેશ પ્રવાસની સરખામણીએ ડોમેસ્ટીક ટુર અને ટ્રાવેલ્સનો આંક ઘણો મોટો છે. ભારતમાંથી વિદેશ પ્રવાસે અંદાજે ૧૮થી ૨૦ મિલિયન લોકો જાય છે, જયારે વિદેશથી અહીં ભારતમાં પ્રવાસે આવતાં પ્રવાસીઓની સંખ્યા માંડ ૧૦ મિલિયન જેટલી છે. દેશના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને ટ્રાવેલ્સ-ટુરીઝમ ક્ષેત્રને વધુ વિકાસશીલ અને પ્રોફેશનલ બનાવવાના હેતુથી અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર દુનિયાની પહેલી પેપરલેસ ઇવેન્ટ યોજાઇ હતી. ગ્લોબલ પેનોરમા શોકેસ(જીપીએસ)ની ટ્રાવેલ્સ અને ટુરીઝમ વિષય પર આજથી શરૂ થયેલી ત્રિદવસીય પેપરલેસ ઇવેન્ટનું ઉદ્ઘાટન શહેરના મેયર શ્રીમતી બીજલબહેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સૌથી નોંધનીય વાત એ છે કે, આ પેપરલેસ ઇવેન્ટના કારણે દર વખતે દોઢથી બે ટન જેટલા કાગળની કિંમતી બચત શકય બને છે, જે અનોખો રેકોર્ડ છે. દુનિયાની સૌથી પહેલી પેપરલેસ ઇવેન્ટ જીપીએસ વિશે તેના ફાઉન્ડર અને એમડી હરમનદીપસિંઘ આનંદ અને જોઇન્ટ એમ.ડી રિશીરાજસિંઘ આનંદે જણાવ્યું હતું કે, દેશના પ્રવાસન ઉદ્યોગને વધુ મજબૂત બનાવવા અને ગુજરાત સહિત દેશભરના ટ્રાવેલ્સ એજન્ટોને વધુ પ્રોફેશનલ, ગ્રાહકલક્ષી અને સેવા કેન્દ્રી બનાવવાના હેતુસર આ ત્રિદિવસીય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માત્ર ગુજરાત જ નહી પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજયોમાંથી પણ સંખ્યાબંધ એજન્ટો ભાગ લેવા આવી રહ્યા છે. તો ગુજરાત સહિતના અનેક સ્થળોએથી એકત્ર થયેલા ૧૫૦૦ થી વધુ ટુરઓપરેટરો અને ટ્રાવેલ એજન્ટો તેમ જ તેમના પ્રતિનિધિઓને આ વિષય સંબંધી ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે દેશ-વિદેશના નિષ્ણાત તજજ્ઞો ખાસ આવ્યા છે. જેમાં સીંગાપોર, બાલી,દુબઇ,આર્મેનીયા, જાપાન સહિતના સ્થળોએથી તજજ્ઞો આવ્યા છે. ત્રણ દિવસની આ ઇવેન્ટમાં જીએસટીના મહત્વના મુદ્દા પર પણ ફોકસ કરવામાં આવ્યું છે અને તે માટે મુંબઇના જાણીતા સીએ અને વિષય નિષ્ણાત મનીષ ગઢીયાને ખાસ માર્ગદર્શન આપવા માટે બોલાવાયા છે.  દરમ્યાન આ પ્રસંગે જીપીએસના એકઝીકયુટીવ ડાયરેકટર મધુ સલીનકર અને સીઇઓ રાજુ ઓકલકરે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારતીયો ફરવાના શોખીન અને મોજ માણવામાં ચઢિયાતા છે અને તે કારણથી ભારતીય લોકોનો ટ્રાવેલ્સ અને ટુરીઝમ ક્ષેત્રમાં સિંહફાળો રહ્યો છે. ડોમેસ્ટીક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને ટુરીઝમ સેકટરમાં ઘણી વિપુલ તકો રહેલી છે અને તેથી દેશ-વિદેશના પ્રવાસીઓને તેમના પ્રવાસ, સફર અને આનંદમાં કોઇ કમી ના રહી જાય તે હેતુથી ગ્રાહકલક્ષી સેવાઓ વધુ ઉત્કૃષ્ટ બનાવવા, ટુર્સ અને ટ્રાવેલ્સ ઓપરેટરો તેમ જ એજન્ટોને વધુ પ્રોફેશનલ બનાવવા અને પ્રવાસન ક્ષેત્રે ભારતને હબ બનાવવાના આશયથી આ ઇવેન્ટ આયોજિત કરાઇ છે. ત્રણ દિવસની આ ઇવેન્ટમાં જીએસટી, આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ, ટાયર ટુ સીટીમાં બિઝનેસ ફોકસ કરવા સહિતના વિષય સંબંધી ખૂબ અગત્યના સેશન(સત્ર) યોજાશે. આ પ્રસંગે જીપીએસના પદાધિકારીઓ અંકુશ નીજવાન, મોહિત દેશપાંડે, ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન હિતાંક પટેલ, ગુજરાત ચેપ્ટરના ચેરમેન પારસ લાખીયા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. એટલું જ નહી, દેશભરના વિવિધ ૨૬થી વધુ ટ્રાવેલ્સ એસોસીએશન દ્વારા આ ઇવેન્ટને ટેકો જાહેર કરાયો હતો. જીપીેએસની આ ઇવેન્ટ દેશભરના મોટા આઠ શહેરોમાં યોજાઇ રહી છે. અમદાવાદની આ ઇવેન્ટ બાદ આગામી મહિનાઓમાં લખનૌ, કોલકત્તા, કોચીમાં યોજાશે. ત્યારબાદ પૂણેમાં જીપીએસ ઇવેન્ટ-૨૦૧૮ની પૂર્ણાહુતિ થશે.

(10:29 pm IST)