ગુજરાત
News of Thursday, 12th July 2018

અમિત શાહ રથયાત્રાના દિને મંગળા આરતીમાં પણ જોડાશે

મોદી ૨૦મી જુલાઈએ એક દિવસ માટે ગુજરાતમાં: અમિત શાહ નેશનલ યુથ પાર્લામેન્ટમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે : ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરાઈ

અમદાવાદ, તા.૧૨: પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પ્રદેશ કાર્યાલય શ્રી કલમમ ખાતે પત્રકાર મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક અગત્યની પ્રદેશ બેઠક રાખવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાષ્ટ્રીય સહસંગઠનમંત્રી વી સતિષજી, કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઈ હતી. પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા-મહાનગરના પ્રમુખ-મહામંત્રીઓ અને પ્રભારીઓ તેમજ વિશેષરૂપે સાત મોરચાના પ્રદેશના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન વૈશ્વિક નેતા નરેન્દ્ર મદોી એકવાર પુનઃ ગુજરાત પધારી રહ્યા ચે તે અંતર્ગત ૨૦મી જુલાઈના રોજ સવારે વલસાડ જિલ્લામાં પાણી પુરવઠા ખાતાની આશરે ૫૦૦ કરોડ રૂપિયાની યોજનાનું ખાતમુહુર્ત તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાંધકામ થયેલ આવાસોનું લોકાર્પણ કરશે. બપોરે જુનાગઢ ખાતે ૫૦૦ કરોડના ખર્ચ સાથે નવનિયુક્ત મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે અને સાંજે ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ દિલ્હી જવાના રવાના થશે. આમ વડાપ્રધાનનો આ એક દિવસીય ગુજરાત પ્રવાસ ગુજરાત ભાજપના કાર્યકરોમાં જોશ અને ઉત્સાહવર્ધક બની રહેશે તેમ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. વાઘાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે રાત્રે ગુજરાત આવશે.

ભગવાન જગન્નાથની જગન્નાથપુરી પછી અમદાવાદ ખાતે યોજાનારી રથયાત્રાએ સમગ્ર ભારતમાં બીજા નંબરની મોટી રથયાત્રા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વર્ષોથી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીના મંદિરમાં મંગળા આરતી કરી પુજા-અર્ચના કરે છે અને આ વર્ષે પણ પુજા-અર્ચના કરી આશીર્વાદ મેળવશે. ત્યારબાદ ૧૪મી જુલાઈના રોજ યોજાનાર નેશનલ યુથ પાર્લામેન્ટમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

(10:24 pm IST)