ગુજરાત
News of Thursday, 12th July 2018

ગાંધીનગર નજીક ઝુંડાલ પાસે યુગલે કેનાલમાં ઝંપલાવ્યું

ગાંધીનગર:જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આપઘાતના બનાવો સતત વધી રહયા છે ત્યારે આજે સવારના સમયે શહેર નજીક આવેલા ઝુંડાલ પાસેથી પસાર થતી કેનાલમાંથી યુગલનો હાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગઈકાલે આ યુગલ ઈન્ટરવ્યુના બહાને નીકળ્યું હતું. આ સંદર્ભે અડાલજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે તો બીજી બાજુ લીંબડીયા કેનાલમાં પણ યુવાને આપઘાત કરી લીધો હતો. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ આમ તો પાણી પુરવઠા માટે બનાવી હતી પરંતુ હાલ તે આપઘાતના હોટસ્પોટ સમાન બની ગઈ છે. ત્યારે રોજીંદી કેનાલમાં આપઘાતની ઘટનાઓ બનતી રહે છે. આજે સવારના સમયે ઝુંડાલ નર્મદા કેનાલમાંથી એક યુવક અને યુવતિનો હાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં અડાલજ પોલીસને જાણ કરી હતી જેથી જમાદાર નરેન્દ્રભાઈ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તપાસમાં આ યુવાન નવા વાડજ કુબેર જમાદારની ચાલીમાં રહેતો મિથુન મનોજભાઈ પાંચુમાંડલ અને ચાંદખેડામાં રહેતી ર૦ વર્ષીય યુવતિ નેહા રમેશભાઈ નીંબેચ હોવાનું બહાર આવ્યું હતું. યુવક-યુવતિ ગઈકાલે ઘરેથી ઈન્ટરવ્યુ આપવાના બહાને નીકળી ગયા હતા. આ અંગે અડાલજ પોલીસે વધુ તપાસ શરૃ કરી છે તો બીજી બાજુ શહેર નજીક આવેલા લીંબડીયા નર્મદા કેનાલમાં પણ અમદાવાદના બાપુનગરમાં રહેતા યુવાન જગદીશ જશવંત ઝાલાએ આપઘાત કરી લીધો હતો. બાઈક લઈને કેનાલ ઉપર પહોંચેલા યુવાને પોતાના પિતાને આપઘાત કરવા અંગેની જાણ કરી હતી જેથી રાત્રે તેની કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો હતો. આ અંગે ડભોડા પોલીસને જાણ કરાતાં ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. પ્રાથમિક તપાસમાં યુવાને આર્થિક સંકડામણથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહયું છે.

(6:07 pm IST)