રાજ્યમાં 1,66 લાખ HIV પીડિત દર્દીઓ: દર વર્ષે નવા ૧૦,૫૮૯ દર્દીઓનો ઉમેરો
રોગના નિર્મૂલન માટે ગાંધીનગરમાં શરૂ કરાયો પાયલોટ પ્રોજેક્ટ
ગાંધીનગર: રાજ્યમાં એચ.આઇ.વી. પીડિત ૧ લાખ ૬૬ હજાર દર્દીઓ હોવાની સાથે સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ૨૧ લાખથી વધુ લોકો આ રોગનો ભોગ બન્યા છે દર વર્ષે સમગ્ર દેશમાં નવા ૭૫ હજારથી વધારે ઉમેરાતા દર્દીઓમાં ગુજરાતમાં ૧૦,૫૮૯ એચ.આઇ.વી.ના દર્દીઓ ઉમેરાય છે ત્યારે આ રોગના નિર્મૂલન માટે યુ.બી.આર.એ.એફનો ગાંધીનગરથી શરૂ કરાયેલો પાયલોટ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ નિવડશે. રાજ્યમાં આ પ્રોજેક્ટ બે વર્ષ સુધી અમલમાં રાખ્યા બાદ આ ગુજરાત મોડેલને દેશભરમાં લાગુ કરવામાં આવશે તેમ જણાવાયું રહયું છે .
વિશ્વ કક્ષાની સાત સંસ્થાઓ અને ગુજરાત સરકાર દ્વારા યુ.બી.આર.એ.એફ.ના પાયલોટ પ્રોજેક્ટ થકી ગુજરાતને એચ.આઇ.વી. મુક્ત બનાવવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. યુ.એન.એઇડ્સ અને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચ.આઇ.વી/એઇડ્સ નિયંત્રણને સુદ્ઘઢ કરવા માટેના પાયલોટ પ્રોજેક્ટ યુ.બી.આર.એ.એફનો ગાંધીનગરથી રાજ્ય વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેકટનો પ્રારંભ કરવત વતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જનજાગૃતિ થકી જેમ પોલીયો મુક્ત ભારતનું નિર્માણ થયું છે તે જ રીતે એચ.આઇ.વી. મુકત ભારત નિર્માણમાં પણ ગુજરાત અગ્રીમ ભૂમિકા દાખવશે.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય અને અન્ય રાજયમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારી અર્થે ગુજરાતમાં આવે છે. જેથી ગુજરાતમાં એક લાખથી વધુ લોકો એચ.આઇ.વી સંભવિત દર્દીઓ હોવાનું માલૂમ પડ્યુ છે. એચ.આઇ.વી. છે કે નહિ તેનો ટેસ્ટ રાજ્યમાં માત્ર ૪ રૂપિયાના ખર્ચેથી થઇ શકે છે તેની વિસ્તૃત સમજ પણ તેમણે આપી હતી.
આરોગ્ય કમિશનર જયંતિ રવિએ એચ.આઇ.વી. રોગની આંકડાકીય વિગત આપતાં જણાવ્યું હતું કે, નેશનલ એઇડૂસ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ નેશનલ એઇડૂસ કંટ્રોલ પ્રોગ્રામના ૯૦-૯૦-૯૦ ના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોને ઝડપી સિધ્ધ કરી શકાશે.
યુનાઇટેડ નેશનલ સંયુક્ત એઇડ્સ પ્રોગ્રામના ભારત ખાતેના ડાયરેક્ટર ડો. બિલાલિ કામરાએ જણાવ્યું હતું કે, આ રોગને નાથવા માટે સૌના સાથ અને લોકજાગૃતિ આવે તેવા કામ કરવાની જરૂર છે.
આ પ્રસંગે યુ.બી.આર.એ.એફ.ની એચ.આઇ.વી. અંગેની જાગૃતિ આપતી ૫૩ મહિલાઓની સ્ટાર ઓફ ધ ગ્રાઉન્ડ તેમજ આ પ્રેાજેક્ટની આયોજન નીતિની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યુ હતું.