અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનને કેન્દ્રની મંજૂરી : 5523 કરોડનો ખર્ચ કરાશે
ફેસ-2નું કામ પૂરું થયા બાદ મોટેરાથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરાશે
અમદાવાદ :ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને કેન્દ્રમાંથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો દોડાવવાની મંજૂરી મળી ગઇ છે. અમદાવાદ મેટ્રોના ફેસ-2માં વાસણા એપીએમસીથી લઇને મોટેરા સુધીનું કામ પુર્ણ થયા બાદ મોટેરાથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરાશે. ખાસ કરીને આ રૂટ વિદ્યાર્થીઓ માટે લાભદાયી નિવડશે.
અમદાવાદ મેટ્રોનો પ્રથમ ફેસ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી આગામી માર્ચ મહિનામાં શરૂ કરી દેવાનું આયોજન કરાયુ છે ત્યારે મેટ્રોના ફેસ-2માં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની પણ મંજૂરી મળી ગઇ છે. ફેસ-2 28.5 કિ.મીનો રહેશે જેમાં 20 સ્ટેશનનો સમાવેશ થશે. જેની પાછળ રૂ.5523 કરોડનો ખર્ચ થશે.
ફેસ-2માં પીડીપીયુ, ઇન્ફોસીટી, કોબા, જીએનએલયુ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, રાયસણ, રાંદેસણ, સચિવાલય, તપોવન સર્કલ, મહાત્મા મંદીર જેવા સંભવિત રૂટનો સમાવેશ થાય છે આમ આ રૂટ પર એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટનો સમાવેશ થતો હોવાથી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે.