ગુજરાત
News of Tuesday, 12th February 2019

વિદ્યાર્થીઓને આકસ્મિક સંજોગોમાં તબીબી સેવા

બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક નિર્ણય : ચાલુ પરીક્ષાએ કોઇ વિદ્યાર્થીની તબિયત લથડશે અથવા તો સેવાની જરૂર પડશે તો ઇમરજન્સી સર્વિસ પૂરી પડાશે

અમદાવાદ, તા.૧૨ :     આગામી તા.૭ માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ- ૧૦ અને ૧૨ની વાર્ષિક બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે. રાજ્ય ભરના અંદાજે ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે.

અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં પરીક્ષાને લગતી તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં આ વર્ષે વિદ્યાર્થીઓ માટે તબીબી સહાય અંતર્ગત ૧૦૮ ઇમરજન્સી સેવાથી એક ડગલું આગળ તબીબની સેવા તાત્કાલિક મળી રહે તેવું પણ બોર્ડ દ્વારા નવતર આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા શિક્ષક સંઘ સાથે બેઠકો યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં પરીક્ષા કેન્દ્રોની નજીક રહેતા ડોકટરો અથવા નજીકની હોસ્પિટલ કે દવાખાનાની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે ચાલુ પરીક્ષાએ જો કોઈ વિદ્યાર્થીની તબિયત લથડશે અથવા તો આક્સ્મિક કિસ્સામાં આરોગ્ય સેવા સંબંધી જરૂરિયાત ઉભી થશે તો ૧૦૮ ઇમર્જન્સીની મદદ તો લેવાશે. પરંતુ ૧૦૮ની પહેલાં ઝ્ડપથી ડોક્ટર જે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તેવી વ્યવસ્થાનું આયોજન થઇ રહ્યું છે. તા.૭મી માર્ચ, ૨૦૧૯થી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. તા.૭મી માર્ચે પ્રથમ દિવસે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પેપરો હશે અને લગભગ તા.૨૦મી સુધીમાં મોટાભાગના મહત્વના વિષયો સાથેની પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે. જ્યારે ગુજકેટની પરીક્ષા તા. ૩૦ માર્ચ, ૨૦૧૯ના રોજ લેવાશે. બોર્ડ દ્વારા આ વર્ષે પણ પેપરો વચ્ચે એક એક દિવસની રજા ગોઠવવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાંચ દિવસ જેટલી પરીક્ષાઓ વહેલી શરૂ થશે. રાજ્યમાં એન.સી.ઇ.આર.ટી.નાં પાઠય પુસ્તકોના અમલ અને બદલાયેલા અભ્યાસક્રમના પરિણામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા ચાલુ શૈક્ષણિક વર્ષ થી ધોરણ- ૯ થી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ વર્ષે લેવાનારી પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા આકરા નિયમો બનાવાયા છે. તો સાથે સાથે વિદ્યાર્થીઓની આરોગ્ય વિષયક ચિંતા પણ બોર્ડે કરી છે.

(8:23 pm IST)