ભરબપોરે આણંદની સબજેલમાંથી પોલીસ ગાર્ડની બેદરકારીનો લાભ લઇ બળાત્કારનો કેદી રફુચક્કર થઇ જતા પોલીસ બેડામાં ચકચાર
આણંદ: શહેરની સબજેલમાંથી ગઈકાલે ભરબપોરના સુમારે ફરજ પરની પોલીસ ગાર્ડની બેદરકારીનો લાભ લઈને બળાત્કારના ગુનાનો કાચા કામનો કેદી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. શહેર પોલીસે જેલરની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા શખ્સને ઝડપી પાડવા તેના સંભવતિ આશ્રયસ્થાનો ઉપર તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર વહેરાખાડી ગામના મોટુ ફળિયામાં રહેતો જશવંતભાઈ જીવાભાઈ પરમાર (ઉ. વ. ૨૬)સને ૨૦૧૫માં ગામની જ એક સાડા સોળ વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી લઈ ગયો હતો અને જુદી-જુદી જગ્યાએ તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તેની શોધખોળ હાથ ઘરી હતી. પરંતુ જે તે વખતે તે મળી આવ્યો નહોતો. દરમ્યાન ગત ડિસેમ્બર-૨૦૧૮માં નાશતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ચાલી રહેલી ઝુંબેશ દરમ્યાન ખંભોળજ પોલીસે તેને પેટલાદ તાલુકાના અગાસ-બોરીયા ગામના કમલેશભાઈ શાંતિભાઈ પટેલના ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો અને તપાસ પુરી કર્યા બાદ તેને આણંદની સબજેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.