ગુજરાત
News of Saturday, 12th January 2019

દાળ-ભાત ખાતા મગરમચ્છ ગંગારામના મોતને લઇ ચર્ચા

ગંગારામ નામના મગરમચ્છની અંતિમયાત્રામાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા અને રીતસરના રડતા જોવા મળ્યા : છત્તીસગઢના બવામોહતરા ગામનો કિસ્સો

અમદાવાદ,તા.૧૨ : તમે મગરમચ્છના ઘણા બધા ખોફનાક વીડિયો જોયા હશે કે તેના સંલગ્ન સમાચાર વાંચ્યા હશે. આપણે કયારેક સાંભળ્યું પણ હોય છે કે મગરમચ્છ વ્યક્તિઓને જીવતા ખાઇ ગયો પરંતુ છત્તીસગઢના મગરમચ્છ ગંગારામના મોતના સમાચાર જાણી આખુ ગામ હિબકે ચઢયું હતું. ગંગારામના મોત પર આખા ગામમાં માતમનો માહોલ છવાઇ ગયો હતો. આ ગામ બવામોહતરા જે રાયપુરના બેમેતરા જિલ્લામાં આવેલું છે. ગંગારામના મોત પર આખું ગામ રડી રહ્યું છે. આ કંઇ મગરમચ્છના આંસુ નથી. ગંગારામની અંતિમ યાત્રા કાઢવામાં આવી અને દૂર-દૂરથી લોકો દર્શન કરવા માટે પણ પહોંચ્યા હતા. ગુજરાત સહિત દેશભરમાં અનોખા અને માનવપ્રેમી મગરમચ્છના નિધન અને તેની અંતિમયાત્રાના સમાચાર ચર્ચામાં રહ્યા હતા. સામાન્ય રીતે તળાવમાં મગરમચ્છના સમાચાર જાણી લોકો તે જગ્યા છોડી દે પરંતુ ગંગારામ એવો નહોતો. ગ્રામજનોને કયારેય નુકસાન પહોંચાડયું નથી. તળાવમાં ન્હાતા સમયે જો કોઇને ગંગારામ અથડાઇ જાય તો તે દૂર ખસી જતો. તળાવમાં માછલીઓ જ તેનો ખોરાક હતો. ગંગારામને લોકો ઘરેથી દાળ-ભાત લાવીને ખવડાવતા હતા. ગ્રામજનોએ કહ્યું કે ચોક્કસ એક વખત એક ગામની મહિલા પર હુમલો કર્યો હતો પરંતુ બાદમાં તેને છોડી દીધી હતી. ગંગારામ કયારેક-કયારેક તળાવની પાળે આવીને બેસતો હતો. વરસાદમાં તે ગામની શેરીઓ અને ખેતરમાં જઇ પહોંચતો, કેટલીય વખત ગામવાળા પકડીને તેને તળાવમાં મૂકી દેતા. ગંગારામની ઉંમર લગભગ ૧૨૫ વર્ષ હતી. આ વાતના કોઇ ખાસ પુરાવા ગામવાળા પાસે નથી. ગંગારામ એટલો પ્રિય કે ગામવાળાનો ગંગારામ પ્રત્યેનો પ્રેમ જોઇ અધિકારીઓએ ગામમાં જ પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી દીધી. ગ્રામજનોએ ઢોલ-મંજીરાની સાથે ગંગારામની અંતિમયાત્રા કાઢી અને રડતા-રડતા મગરમચ્છ ગંગારામનો દફનાવ્યો. ગામવાળા ગંગારામને દેવની જેમ જ પૂજી રહ્યા છે. ગ્રામીઓએ કયારેય ગંગારામને હેરાન કર્યો નથી.

 હવે તેની યાદમાં મંદિર પણ બંધાવવાની લાગણી ગ્રામજનોએ વ્યકત કરી હતી.

(9:53 pm IST)