ગુજરાત
News of Saturday, 12th January 2019

CBSE ધોરણ-૧૦ અને ૧૨ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર

સીબીએસઇ બોર્ડ દ્વારા આંશિક ફેરફાર કરાયો : ૨૮ માર્ચની પરીક્ષા ચોથી મેના દિવસે, બીજી મેના દિવસે લેવાનારી પરીક્ષા ચોથી મેના દિવસે લેવાનો નિર્ણય કરાયો

અમદાવાદ, તા.૧૨ : ધોરણ-૧૦ અને ૧રની સીબીએસઇ બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થઇ ચૂક્યું છે, જેેના કારણે વિદ્યાર્થીઓ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત થઇ ચૂક્યા છે ત્યારે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરીક્ષામાં થોડો ફેરફાર કરાયો છે તે મુજબ તા.ર૮ માર્ચના રોજ લેવાનારી પરીક્ષા તા.ર જી મેના રોજ લેવાશે અને તા.ર જી મેના રોજ લેવાનારી પરીક્ષા તા.૪ મેના રોજ લેવાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) દ્વારા ધોરણ ૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાનું શેડ્યૂલ માર્ચ મહિનાનું જાહેર કરાયેલું છે. દરમિયાન તા.ર૮ માર્ચ અને ર મેની પરીક્ષાઓને લઇને વિદ્યાર્થીઓએ ફરિયાદ અને રજૂઆતો બોર્ડને કરી હતી. આ અનુસંધાને બોર્ડ દ્વારા પરીક્ષા શેડ્યૂલમાં બદલાવ કરાયો છે. નવા જાહેર કરાયેલા પરીક્ષા શેડ્યૂલ મુજબ ધોરણ-૧રની ર૮ માર્ચના રોજ લેવાનારી બોર્ડની ઇન્ફર્મેટિક્સ પ્રેક્ટિસ, કમ્પ્યૂટર સાયન્સ અને બે વિષયની પરીક્ષા તા.ર મેના રોજ લેવાશે, જ્યારે તા.ર મેના રોજ લેવાનારી ફિલોસોફી એન્ટરપ્રિનિયોરશિપ, હ્યુમનરાઇટ્સ એન્ડ જેન્ડર સ્ટડીઝ, થિયેટર સ્ટડીઝ, લાઇબ્રેરી એન્ડ ઇન્ફો સાયન્સ એમ પાંચ વિષયની પરીક્ષા તા.૪ મેના રોજ લેવાશે. આ સિવાયની તમામ પરીક્ષાની તારીખ બોર્ડે અગાઉ જાહેર કરેલા શેડ્યુલ મુજબ લેવાશે. બોર્ડે અગાઉ પ્રેક્ટીકલ અને થીયરીટીકલ બંને પરીક્ષાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ સાથે આચાર્યોેએ પણ ફરિયાદ બાબતે સહમતી બતાવી હતી, જેથી બોર્ડે નવું રિવાઇઝ શેડ્યૂલ જાહેર કર્યું છે. સીબીએસઇ બોર્ડ દ્વારા પરીક્ષા કાર્યક્રમમાં કરાયેલા આંશિક ફેરફારની વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવા અનુરોધ કરાયો છે. પરીક્ષા કાર્યક્રમમાં ફેરફારથી બધાને વાકેફ કરાયા છે.

(8:36 pm IST)