ગુજરાત
News of Saturday, 12th January 2019

ડુંગળી, લસણની કિંમતમાં વધારો થવાના સ્પષ્ટ સંકેત

ઓછા વિસ્તારમાં વાવણીથી ઉત્પાદન ઘટશે : હવે ઉનાળાના દિવસોમાં ખુબ જ ઉપયોગી કોમોડિટીની કિંમત ૩૦-૪૦ ટકા સુધી વધવાના સ્પષ્ટ સંકેતો મળ્યા

અમદાવાદ, તા.૧૨ : ડુંગળી, લસણ અને અન્ય ઉપયોગી ચીજવસ્તુની વાવણીમાં ઉલ્લેખનિય રીતે ઘટાડો થયો છે. જેના પરિણામ સ્વરૂપે આગામી દિવસોમાં ચીજવસ્તુઓ બનાવવામાં ઉપયોગી ડુંગળી અને લસણનું પ્રમાણ ચિંતા ઉપજાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. સ્વાદિષ્ટ ચીજો બનાવવા માટે ઉપયોગી ડુંગળી અને લસણનું પ્રમાણ ઘટી શકે છે. લસણ, ડુંગળી, શેરડી અને ઇસબગુલની વાવણીમાં ગયા વર્ષની સરખામણીમાં ઘટાડો થઈ રહ્યો છે. ડુંગળીના વાત કરવામાં આવે તો ૧૦ વર્ષમાં સરેરાશ ૪૬૩૬૪ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ છે. જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮ના ગાળામાં ૪૫૧૨૬ હેકટર વિસ્તારમાં ડુંગળીની વાવણી થઈ હતી. જ્યારે ૨૦૧૮-૧૯ના ગાળામાં ડુંગળી માટે સિંચાઈ ૨૮૪૩૧ હેકટર વિસ્તારમાં રહી છે જે દર્શાવે છે કે ડુંગળીનું ઉત્પાદન ઘટી શકે છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે ઓછા વિસ્તારમાં વાવણીના પરિણામ સ્વરૂપે ઉનાળાના મહિનાઓ દરમિયાન આ જરૂરી ચીજવસ્તુઓની કિંમતમાં ૩૦ થ ૪૦ ટકા સુધીનો નોંધપાત્ર વધારો થઈ શકે છે. લસણ, ડુંગળી, શેરડીની કિંમતમાં ઉલ્લેખનિય ઘટાડો થવાની સંભાવના દેખાઈ રહી છે. ઇસબગુલની વાવણી પણ ૨૦૧૭-૧૮ના ગાળામાં આઠમી જાન્યુઆરી સુધી ૨૫૧૨૭ હેકટર વિસ્તારમાં રહી હતી જેની સામે ૨૦૧૮-૧૯માં ૫૬૮૪ હેકટર વિસ્તારમાં વાવણી થઈ છે. ખેડુતોનું કહેવું છે કે પાણીની તીવ્ર અછત પણ આના માટે કારણભૂત છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે લસણની વાવણી ૨૦૧૮-૧૯માં ૨૦૧૭-૧૮ની સરખામણીમાં ૫૦ ટકા સુધી ઘટી ગઈ છે. જ્યારે લસણમાં ગયા વર્ષની સરખામણીમાં ૩૭ ટકાનો ઘટાડો થયો છે. વાવણીના વિસ્તારમાં ઉલ્લેખનિય રીતે ઘટાડો થયો છે. નિરાશાજનક મોનસૂન અને સિંચાઈ પાણી પુરતા પ્રમાણમાં નહીં મળવાના પરિણામ સ્વરૂપે હાલત કફોડી બની છે. આ તમામ પાક મુખ્ય રીતે સૌરાષ્ટ્ર પ્રદેશમાં થાય છે.

 સૌરાષ્ટ્રમાં પાણીની તંગી અને કૃષિ કટોકટી પ્રવર્તી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં કિંમતો વધી શકે છે. દિવાળીના ગાળા દરમિયાન ખેડુતોને ડુંગળી માટે પ્રતિ કિલો ૨૦ રૂપિયા હતા જવે હવે માત્ર ૨ રૂપિયા મળી રહ્યા છે. લસણના પાકમાં પણ આવી જ સ્થિતિ રહેલી છે. ઓછી વાવણીના પરિણામ સ્વરૂપે ઉનાળાના ગાળામાં લોકોને અછત વર્તાશે. તે વખતે છુટક કિંમતો ઓછા ઉત્પાદનના કારણે વધી શકે છે. કૃષિ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે વાવણી ઓછી થવાથી ઉત્પાદન ઘટશે જેના લીધે કિંમતો વધશે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ લોકોમાં આને લઈને ચર્ચા જોવા મળી રહી છે.

કોમોડિટી વાવણીનું ચિત્ર

અમદાવાદ, તા.૧૨ : ડુંગળી, લસણ અને અન્ય ઉપયોગી ચીજવસ્તુની વાવણીમાં ઉલ્લેખનિય રીતે ઘટાડો થયો છે. વાવણીનું ચિત્ર નીચે મુજબ છે.

પાક              ૨૦૧૭-૧૮      ૨૦૧૮-૧૯

લસણ            ૧૯૨૭૭        ૯૮૨૩

ડુંગળી            ૪૫૧૨૬        ૨૮૪૩૧

શેરડી             ૧૪૫૫૧૩       ૧૧૯૭૩૧

ઈસબગુલ        ૨૫૧૨૭        ૫૬૮૪

નોંધ : તમામ આંકડા હેકટરમાં છે.

(8:33 pm IST)