વડોદરા: 70 વર્ષીય મહિલાએ પુત્ર ન હોવાની મૃત્યુ બાદ દેહદાનનો નિણર્ય કર્યો
વડોદરા:શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આજે ૭૦ વર્ષના મહિલાનું મોત થયુ હતું. મહિલાના મૃત્યુ બાદ તેમની બે પુત્રીઓ અને જમાઇઓએ અંતિમયાત્રાની તૈયારી કરવાના બદલે સીધા જ બરોડા મેડિકલ કોલેજમાં પહોંચ્યા હતા અને મૃતદેહને સ્વિકારવા માટે વિનંતી કરી હતી. વાત એવી હતી કે મરનાર મહિલાએ મૃત્યુ પહેલા જ પોતાના દેહને અગ્નિદાહ આપવાના બદલે દેહદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આ ઇચ્છા તેમની બે પુત્રીઓ અને જમાઇઓએ પુરી કરી હતી.
મૃતક લતાબેન સવલરામ મુકુલની ઉમર ૭૦ વર્ષની હતી. તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હતા. તેમના પતિ સવલરામ વડોદરાની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને ૪ વર્ષ પહેલા તેમનું મૃત્યુ થયા બાદ લતાબેન તેમની બે પરિણીત પુત્રીઓ વૃશાલી અને નિમિતા સાથે રહેતા હતા. છેલ્લા ૧૫ દિવસથી તેઓ બીમાર હતા અને હોસ્પિટલમાં એડમિટ હતા. જો કે તેઓ બીમાર થયા તેના કેટલાક મહિના પહેલા લતાબેન બરોડા મેડિકલ કોલેજ પર પહોંચી ગયા હતા અને દેહદાનનું ફોર્મ જાતે જ ભરી આવ્યા હતા.