ડીસા શાકમાર્કેટમાં છૂટક વેપારી અને શેષ ઉઘરાવતા કર્મચારી વચ્ચે મારામારી :
યાર્ડના સત્તાધીશોએ જાણ કરતા ડીવાયએસપી સહિતનો કાફલો દોડ્યો :ત્રણ કલાક બાદ મામલો થાળે પડ્યો
ડીસાના વી.જે.પટેલ શાકમાર્કેટમાં છૂટક વેપારી અને શેષ ઉઘરાવતા કર્મચારી વચ્ચે મારામારી થતા દોડી આવેલા અન્ય વેપારીઓએ ભારે હંગામો મચાવ્યો હતો. બાદમાં દોડી આવેલી પોલીસે મધ્યસ્થી કરતા ત્રણ કલાક બાદ મામલો માંડ થાળે પડયો હતો.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ વેપારી મથક ડીસાના શાકમાર્કેટમાં વહેલી સવારે એક છૂટક વેપારી શાકભાજી ખરીદી દરવાજા આગળ શેષ આપવા ઉભો હતો. તે દરમ્યાન દરવાજા પાસે બેઠેલા કર્મચારી અને વેપારી વચ્ચે બોલાચાલી થતા મામલો વણસતા મારામારી થઈ હતી. જેથી વેપારીને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો. જેની જાણ થતા વેપારીઓના ટોળેટોળા ઉમટી પડયા હતા અને દરવાજા બંધ કરી હોબાળો મચાવ્યો હતો. જેમને પોલીસે રોકતા તેમની સાથે ધકકામુકી કરી હતી.
માર્કેટયાર્ડના સત્તાધીશોએ પોલીસને જાણ કરતા ડી.વાય.એસ.પી. સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને વેપારીઓ અને કર્મચારીઓને સમજાવી ત્રણ કલાક બાદ મામલો માંડ થાળે પાડયો હતો.