ગુજરાત હાઇકોર્ટમાં જજોની સત્વરે નિમણૂક નહીં થાય તો બાર એસો.ની હડતાળની ચીમકી
અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશનને પસાર કરેલા એક ઠરાવમાં જજોની ખાલી જગ્યા માટે ઉચ્ચસ્તરે રજૂઆત કરવાનું નક્કી કરાયું છે. અત્યારે હાઇકોર્ટમાં ૫૨ જજોના સંખ્યાબળની જોગવાઈ છે, જેની સામે અત્યારે ૨૭ જજ કાર્યરત છે. ઉપરાંત રેગ્યુલર ચીફ જસ્ટિસની જગ્યાએ કાર્યકારી ચીફ જસ્ટિસ નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગત દિવસોમાં સુપ્રીમ કોર્ટ કોલેજીયમે નીચલી અદાલમાં ફરજ બજાવતા જજ વી.પી. પટેલ અને વકીલ તરીકે ફરજ બજાવતા સંગીતા વિશેન, બી.ડી. કારીયા અને મેઘા જાનીને ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે બઢતી આપવા ભલામણ કરી હતી પરંતુ આ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો હોવાની ફરિયાદ એડવોકેટ એસોસિએશનની છે.
ઠરાવમાં ચીમકી આપવામાં આવી છે કે ૧૫મી જાન્યુઆરી સુધીમાં કેન્દ્ર સરકાર નિમણૂકની પ્રક્રિયા નહીં આરંભે તો રાજ્યભરના વકીલો અનીચ્છનીય પગલાં લેશે અને હડતાળ પર ઉતરશે. જજોની નિમણૂકના વિલંબને એસોસિએશને કેન્દ્ર સરકારની નિષ્ક્રીયતા અને સ્વતંત્ર ન્યાયતંત્ર પર તરાપ સમાન ગણાવ્યો છે.