ગુજરાત
News of Friday, 11th January 2019

ન્યુ યુથ ન્યુ ઇન્ડિયા મુવમેન્ટ આજથી રાજ્યમાં શરૂ થશે

સ્વામી વિવેકાનંદ જ્યંતિ સંકલ્પ વર્ષ તરીકે ઉજવાશેઃ ન્યુ યુથ ન્યુ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ નિબંધ, ચિત્ર સ્પર્ધાઓ સહિત વિવિધ કાર્યક્રમો : રચનાત્મકતાનો સંદેશ ફેલાવાશે

અમદાવાદ,તા.૧૧: સ્વામી વિવેકાનંદની ૧૫૭મી જન્મજ્યંતિના દિવસે જુદા જુદા કાર્યક્રમોનં આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમો મારફતે સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સાથે સાથે ભારત માટે તેમના યોગદાનને પણ યાદ કરવામાં આવશે. આ પ્રસંગે ન્યુ યુથ, ન્યુ ઇન્ડિયા મુવમેન્ટનો પ્રારંભ કરવામાં આવનાર છે. વિશ્વમાં જનસંખ્યાની દ્રષ્ટિએ બીજા સ્થાને રહેલા ભારત દેશમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ પ્રમાણમાં રહેલી છે. ભારત આજે સૌથી વધુ યુવાનો ધરાવતા દેશમાં સૌથી આગળ છે. યુવા ભારતના યુવાનોની શક્તિને જાગૃત્ત કરવા, શક્તિનો સાક્ષાત્કાર કરવા, યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિથી પોઝિટિવ યુથ મુવમેન્ટની શરૂઆત થઇ રહી છે. ન્યુ યુથ ન્યુ ઇન્ડિયાના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં શાળા, મહાશાળાઓ, યુવા સંસ્થાઓમાં આયોજન કરવામાં આવી રહ્યા છે. ૧૫૭થી વધુ યુવા સંકલ્પ સંમેલનોનું  આયોજન કરવામાં આવી રહ્યું છે. યુવા સંકલ્પ સંમેલનોમાં યુવાનોને ૧૨થી વધુ સંકલ્પ લેવડાવવામાં આવશે. ખંડનાત્મક નહીં બલ્કે રચનાત્મકતાનો સંદેશ યુવાનોમાં ફેરવવામાં આવશે. સંકલ્પ વર્ષની શરૂઆત આવતીકાલે ૧૨ સંકલ્પો લઇને કરવામાં આવનાર છે. ન્યુ યુથ ન્યુ ઇન્ડિયા મુવમેન્ટના સંદર્ભમાં માહિતી આપતા ન્યુ યુથ ન્યુ ઇન્ડિયા મુવમેન્ટના સમવાહક ડોક્ટર જગદીશ ભાવસારે કહ્યું હતું કે, આ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં  સ્ટીકર, પત્રિકા વિતરણ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મિની મેરોથોન જેવા કાર્યક્રમો સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવશે. સમગ્ર વર્ષને સંકલ્પ વર્ષ તરીકે યોજવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમોનો દોર આગામી દિવસોમાં પણ ચાલશે. વ્યસનથી હંમેશા દૂર રહેવાના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે.

(10:13 pm IST)