આર.બી.શ્રીકુમાર, સંજીવ ભટ્ટ તેમજ રાહુલ શર્માના રોલ શંકાસ્પદ હતા
પંચના તારણોમાં ત્રણેય તત્કાલીન અધિકારીની ટીકા : ગુજરાત સરકારની સામે મલિન ઇરાદાથી ખોટા આક્ષેપો કરાયા હોવાનું તપાસમાં સ્પષ્ટ થાય છે : નાણાવટી કમીશન
અમદાવાદ, તા.૧૧ : નાણાવટી કમીશને તેના દળદાર રિપોર્ટમાં ત્રણેય તત્કાલીન આઇપીએસ અધિકારીઓ આર.બી.શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની ભૂમિકા શંકાસ્પદ હોવાનું ગંભીર ટીકાત્મક તારણ આપ્યું છે એમ ગૃહરાયમંત્રી જાડેજાએ જણાવ્યું હતું. તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ શ્રી સ્વ. અમરસિંહ ચૌધરીએ સોગંદનામું કરીને તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાથે કરેલી બેઠકનો ઉલ્લેખ કરીને આક્ષેપો કર્યા હતાં કે, આશરે ૧૦,૦૦૦ વ્યક્તિઓના ટોળા દ્વારા ગુલબર્ગ સોસાયટી પર થયેલ હુમલા દરમ્યાન જાફરીએ તેમના કુટુંબ અને પોતાની જિંદગી પર જોખમ અંગે પોલીસને ટેલિફોન કરીને જરૂરી મદદ અને રક્ષણ આપવા વિનંતી કરેલ હતી. તેમ છતા તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ આ બાબતને ગંભીરતાથી લઇને યોગ્ય કાર્યવાહી કરી ન હતી. પરંતુ કમિશને કરેલી તપાસમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિરૂધ્ધ કરવામાં આવેલા આક્ષેપો તદ્દન પાયાવિહિન હોવાનું બહાર આવ્યું છે.
કારણે કે, શ્રી ચૌધરી દ્વારા કમિશન સમક્ષ કોઇ પુરાવો કે નિવેદન આપવામાં આવ્યા નથી. પોલીસ કમિશનર દ્વારા બપોરના ૧૩.૦૦ કલાકે બે પોલીસ અધિક્ષક, એક પોલીસ ઇન્સપેકટર અને સી.આઇ.એસ.એફ.ની ૦૧ સેકશન ગુલબર્ગ સોસાયટીમાં મોકલવામાં આવી હતી. પોલીસ ફોર્સ બપોરના બે કલાકે ગુલબર્ગ સોસાયટીમાં પહોચ્યા તે અંગેનો પુરાવો છે. આથી, શ્રી ચૌધરીના અક્ષેપો ખોટા હોવાનું સાબિત થયું છે. દરમ્યાન આર. બી. શ્રીકુમારે સોગંદનામાઓમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી દ્વારા મૌખિક રીતે ગેરકાયદેસરની સૂચનાઓ આપવા અંગે, સાબરમતી એક્ષપ્રેસ ટ્રેનના કોચ એસ-૬ને ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે બાળી નાખવા અંગે ઉત્તર પ્રદેશના પોલીસના માણસો પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ અંગે તેમજ એડવોકેટશ્રી પંડયા અને સરકારી અધિકારી સાથે થયેલ બેઠકમાં કમિશન સમક્ષ કઇ રીતે જુબાની આપવી તેના માટે કરવામાં આવેલા દબાણની વાર્તાલાપની ટેપ રજુ કરીને તે અંગે આક્ષેપો કર્યા હતા.
આ તમામ આક્ષેપો કમીશને તથ્ય વિહીન હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું છે અને ઉપરોકત આક્ષેપો સંદર્ભે બારીકાઇથી તપાસ કરીને કમિશન એ તારણ પર આવેલ છે કે, (૧) પ્રથમ સોગંદનામામાં અથવા પુરાવાઓ આપતા સમયે ગેરકાયદેસરની સૂચનાઓ અંગેની વિગતો જે તે સમયે કમીશનના ધ્યાન પર મુકવાની જરૂર હતી. વધુમાં, તેઓની વિશ્વસનીયતા શંકાસ્પદ બને છે, (૨) ઉત્તર પ્રદેશ પોલીસનું કાર્યક્ષેત્ર ઉત્તર પ્રદેશની સરહદ સુધી અથવા વધુમાં વધુ ગુજરાતની સરહદ શરૂ થાય ત્યાં સુધી હોઇ શકે. આથી ઉત્તર પ્રદેશના પોલીસના માણસોએ કોચને સળગતો જોયા અંગેના પ્રત્યક્ષ સાક્ષીઓ અંગેની વિગતો પણ ખોટી છે. કમિશન સમક્ષ આવા પ્રકારનું ખોટું સાહિત્ય રજૂ કરવા અંગે શ્રી આર. બી. શ્રીકુમારનો હેતુ શંકાસ્પદ છે.
કમીશન સમક્ષ સત્ય બાબતો રજૂ કરવાના બદલે સરકાર દ્વારા લીધેલ પગલાના કારણે તેઓએ (શ્રીકુમારે) ગુજરાત સરકાર સામે મલિન ઇરાદાથી ખોટા આક્ષેપો તૈયારકરેલ છે, (૩) ટેપના વાર્તાલાપમાં કમિશન સમક્ષ ખોટી હકીકતો રજૂ કરવા માટે શ્રીકુમારને કોઇપણ પ્રકારનું દબાણ કર્યું હોય તેવું ફલિત થતું નથી. શ્રીકુમારને કોઇપણ પ્રકારની ધાકધમકી કે દબાણ કરવામાં આવેલ નથી.