1996માં અમદાવાદના શેઠ પાસેથી 3.50 લાખની ઉચાપત કરી ફરાર આરોપી ઝડપાયો
અમદાવાદ: રેન્જ આઈજીના નાશતા ફરતા સ્ક્વોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં પેટ્રોલીંગ હાથ ઘરવામાં આવ્યું હતુ. દરમ્યાન હકિકત મળી હતી કે, નવરંગપુરા પોલીસ મથકે દાખલ થયેલા એક ઉચાપતના કેસમાં નાશતો ફરતો અશ્વિનભાઈ ઉર્ફે મુન્નો જયંતિભાઈ પટેલ (રે. મૂળ ચૌહાણ ખડકી, વટાદરા, હાલ વ્રજભુમિ એપાર્ટમેન્ટ,ડુમરાલ રોડ, નડીઆદ)નો આણંદના લોટીયા ભાગોળ ખાતે આવવાનો છે જેના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન અશ્વીન ઉર્ફે મુન્નો આવી ચઢતાં પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. અને પોલીસ મથકે લાવીને પૂછપરછ કરતાં સને ૧૯૯૬માં તે અમદાવાદની સુંદરલાલ રઘુનાથભાઈ અગ્રવાલની શ્રોફની પેઢીમાં નોકરી કરતો હતો. એ દરમ્યાન શેઠ દ્વારા ૩.૫૦ લાખ રૂપિયા બીજી પેઢીમાં આપવા માટે તેને મોકલ્યો ત્યારે તે પૈસા લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે નવરંગપુરા પોલીસે તેના વિરૂદ્ઘ વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ જે તે વખતે તે પોલીસના હાથમાં આવ્યો નહોતો. વટાદરાથી તે નડીઆદ રહેવા જતો રહ્યો હતો અને ત્યાંથી તે આણંદ ખાતે લોટીયા ભાગોળ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જેની જાણ રેન્જ આઈજીના નાશતા ફરતા સ્ક્વોર્ડને થતાં આખરે તે પકડાઈ ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ઘરીને તને નવરંગપુરા પોલીસના હવાલે કર્યો હતો.