ગુજરાત
News of Wednesday, 11th December 2019

વડોદરાઃ સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના મામલે આરોપીઓને રિકન્સ્ટ્રકશન માટે નવલખી મેદાન ખાતે લઈ જવાયાઃ લોકોના ટોળેટાળા ઉમટી પડ્યા

વડોદરા :વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના મામલે આરોપીઓને રિકન્સ્ટ્રકશન માટે નવલખી મેદાન ખાતે લઈ જવાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને નરાધમોને દુષ્કર્મના સ્થળ પર લઈ જઈ પોલીસે તેઓએ કેવી રીતે સગીરાને 6 ફૂટ ઊંચી દિવાલ કૂદાવી હતી તે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું.

નવલખી મેદાનમાં થયેલ સગીરા પર સામૂહિક દુષ્કર્મના મામલે આરોપી કિશન અને જશોને ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ રિકન્સ્ટ્રકશન માટે નવલખી મેદાનમાં ગઈકાલે લઈ ગઈ હતી. જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આરોપીઓએ પોલીસને નવલખી મેદાન સહિત સમગ્ર ઝાડીની અવાવરૂ વિસ્તારમાં ફરાવી હતી. આરોપીઓને લઈને પોલીસ એ 6 ફૂટની દિવાલ પાસે પહોંચી હતી, જ્યાંથી બંનેએ સગીરાને કૂદાવી હતી. પોલીસની ટીમ આરોપીઓ સાથે 6 ફૂટની દિવાલ કૂદી હતી. પોલીસને દિવાલ કૂદવા માટે લોખંડની સીડીનો ઉપયોગ કરવો પડ્યો હતો. પોલીસને રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીઓએ ઉપયોગમાં લીધેલો લાકડાનો દંડો પણ મળ્યો હતો. આરોપીઓએ લાકડાના દંડાથી જ સગીરા અને તેના મિત્રને ફટકાર્યા હતા.

આરોપીઓએ તમામ જગ્યાઓ પોલીસને બતાવી હતી, જ્યાં તેઓ સગીરાને લઈ ગયા હતા. જેની નોંધ પોલીસે ચોપડે કરી હતી. આ ઉપરાંત પોલીસે આખી ઘટનાનું વીડિયોગ્રાફી પણ કરી હતી. દુષ્કર્મના મામલામાં પોલીસ તમામ પુરાવા એકત્રિત કરી રહી છે. આરોપીઓને સાથે રાખી પોલીસ 8 કિલોમીટર ચાલી હતી. મહત્વની વાત છે કે, પોલીસને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મળ્યા છે. જેને લઈ પોલીસ સઘન તપાસ કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.એસ. ચૌહાણે કહ્યું કે. પુરાવાઓ મજબૂત કરવા માટે રિકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું છે. નવલખી ની ઝાડી ઝાંખરા વાળી જગ્યા ખૂબ ખતરનાક છે.

પીડિતાના બદલે યુવકને દીવાલ પર ચઢાવાયો

27 નવેમ્બરના રોજ 14 વર્ષની સગીરા પર બંને નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે આરોપીઓએ પીડિતાને 6 ફૂટની દીવાલ પર કેવી રીતે ચઢાવી તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આ માટે પોલીસે પીડિતાને બદલે એક યુવકને રિકન્સ્ટ્રક્શન માટે ઉભો રાખ્યો હતો. જેનો હાથ લંબાવીને જશાએ તેને ઉપર ચઢાવ્યો હતો.

આરોપીઓ પર ટોળાએ વરસાવ્યો ફિટકાર

નવલખી કમ્પાઉન્ડમાં જ્યારે આરોપીઓને લાવવામાં આવ્યા હતા, ત્યારે લોકોના ટોળેટોળા જામ્યા હતા. ત્યારે ટોળામાંથી બૂમો ઉઠી હતી કે, આરોપીઓને અમને સોંપી દો. તો કેટલાક લોકો બોલ્યા હતા કે, નરાધમને ફાંસી આપો....

(5:04 pm IST)