૧૧ વર્ષમાં ગુજરાતમાં ૧૦૦૦ બાંધકામ મજૂરોના મોતઃ બીલ્ડર કે કોન્ટ્રાકટર સામે કોઇ કેસ નથી નોંધાયો
અમદાવાદઃ બાંધકામ મજૂરો માટેના ત્રણ સંગઠનો બાંધકામ મજૂર સંગઠન, મજૂર અધિકાર મંચ અને બાંધકામ મજદુર વિકાસ સંધે એક બયાનમાં કહ્યું છે કે છેલ્લા ૧૧ વર્ષમાં ગુજરાતમાં ૧૦૦૦ થી વધુ બાંધકામ મજૂરોના મોત કામ પર થયા હોવા છતાં અત્યાર સુધીમાં એક પણ બીલ્ડર અથવા કોન્ટ્રાકટરને જવાબદાર ગણીને ગુનો નથી નોંધવામાં આવ્યો. ૧૦ ડીસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવધિકાર દિવસે આ ત્રણે સંસ્થાઓ બાંધકામ શ્રમિક સંકલન સમિતિ નામના એક પ્લેટફોર્મ પર સાથે મળીને કહ્યું હતું કે નોંધનીય બાબત તો એ છે કે મજૂરોને સુરક્ષા ઉપરકરણો તેમની સાઇટ પર અપાવવામાં ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ રહી છે.
તેમના બયાનમાં કહેવાયું છે કે તેમને કોઇ પણ પ્રકારની સામાજીક સુરક્ષા અને તેમના કલ્યાણ માટે રાજય સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં નથી આવ્યા. બયાનમાં એમ પણ કહેવાયું છે આ મજૂરોના માનવાધિકારનો ભંગ થાય છે, જીવલેણ અકસ્માતો બની રહ્યા છે પણ અધિકારીઓ તેના પર નજી પણ નથી નાખતા.
સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે બીલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ ૧૯૯૬ અનુસાર સરકારે મજૂરોની સુરક્ષા બાબતે સ્પેશ્યલ ઇન્સ્પેકટરોની નિમણુંક કરવી જરૂરી છે, જેમણે કન્સ્ટ્રકશન સાઇટની મુલાકાત લઇને મજૂરોને અપાતા સુરક્ષા ઉપકરણોની ચકાસણી કરવાની હોય છે. બાંધકામ મજૂરોનું લેબર વેલ્ફેર બોર્ડ આ કાયદા હેઠળ રચાયું છે પણ તેમાં પણ પૂરતો સ્ટાફ નથી. મજૂરોને તેમના કલ્યાણના લાભોઆ બોર્ડ તરફથી મળે તે માટે મજૂરોના રજીસ્ટ્રેશન કરાવવાના પ્રયત્નો કરવાની ખાસ જરૂર છે. કેમકે બોર્ડના વેલફેર ફંડના ૨૭૦૦ કરોડ રૂપિયામાંથી ફકત ૧૦ ટકા રકમ વપરાઇ છે.