કાલે ૮૦૦૦ મહેસુલી કર્મચારીઓની ગાંધીનગરમાં રેલી
રાજકોટથી ૧૮૦ કર્મચારીઓ રાત્રે અને વહેલી સવારે જશે : પાટનગરમાં ધરણા-દેખાવો
રાજકોટ, તા. ૧૧ : રાજયના મહેસુલ કર્મચારીઓની ચાલી રહેલ હડતાલ આજે ત્રીજા દિવસમાં પ્રવેશ્યા બાદ આક્રમક બની છે, સરકાર વાટાઘાટ માટે નહીં બોલાવે તો ઉગ્ર આંદોલનના મંડાણ નકકી છે.
દરમિયાન મહામંડળના આદેશો મુજબ આવતીકાલે ગાંધીનગર ખાતે સવારે ૯ વાગ્યાથી સચિવાલય સુધી ૮ હજારથી વધુ મહેસુલ કર્મચારીઓની જંગી રેલી સરકારને ઢંઢોળવા યોજાશે. દરેક જીલ્લામાંથી ગાંધીનગર પહોંચવા મહામંડળે આદેશો કરતા કર્મચારીઓ ઉમટી પડશે.
રાજકોટ શહેર-જીલ્લામાંથી ૧૮૦ જેટલા કર્મચારી ભાઇ-બહેનો આજે રાત્રે અથવા તો કાલે વહેલી સવારે ગાંધીનગર જવા રવાના થશે, પાટનગર ખાતે ધરણા -દેખાવો તથા ડાયરેકટ મુખ્યમંત્રીને આવેદન અપાશે.
દરેક જિલ્લા પ્રમુખને કુલ કેટલા લોકો આવી રહ્યા છે તે સંખ્યા બનાવવા જણાવ્યા મહામંડળે આદેશો કર્યા છે, રાજકોટ મંડળ દ્વારા આ બાબતે તૈયારીઓ શરૂ થઇ છે.