ગુજરાત
News of Wednesday, 11th December 2019

મોડાસામાં ઘરકામ બાબતમાં પત્ની સાથે બોલાચાલી બાદ શિક્ષકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર

પત્ની વહેલી સવારે ઉઠી તો બેડરૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં પતિને જોતા બુમાબુમ કરી મુકી

 

મોડાસાઃ  મોડાસા શહેરની બસ સ્ટેન્ડ પાછળ આવેલી અંકુર સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતીમાં ઘરકામ જેવી બાબતમાં પતિને લાગી આવતા શિક્ષકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મોડાસા ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક શિક્ષકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

  અંગેની વિગત મુજબ મોડાસા શહેરની અંકુર સોસાયટીમાં રહેતા કનુભાઈ પ્રભુદાસ પ્રજાપતિ (રહે, ઉમેદપુર, જીવણપૂર) તેમના પરિવાર સાથે વર્ષોથી રહે છે પતિ-પત્ની બંને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સોમવારે રાત્રે પતિ-પત્ની વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા કનુભાઈને મનમાં લાગી આવતા રાત્રે બેડરૂમ માં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પત્ની જ્યારે વહેલી સવારે ઉઠી તો બેડરૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમના પતિને જોતા બુમાબુમ કરી મુકી હતી. તેણીનો અવાજ સાંભળતા પરિવારજનો પણ તુરંત દોડી આવ્યા હતા. કનુભાઈ પ્રજાપતિએ આપઘાત કરી લેતા મોટી સંખ્યામાં તેમના સગા-સંબંધીઓ અને મિત્રવર્તુળ તેમના ઘરે પહોંચ્યા હતા. પરિવારજનોએ રોકક્કળ કરી મૂકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.

આત્મહત્યાની ઘટનાના પગલે મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. મોડાસા ટાઉન પોલીસે મૃતક શિક્ષકના ભાઈ સંજય કુમાર પ્રભુદાસ પ્રજાપતિની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(8:47 am IST)