ઉમરેઠના ઓડમાં લગ્નનની ના કહેતા ઉશ્કેરાઈ શખ્સે ગડદાપાટુનો માર મારતા ફરિયાદ
ઉમરેઠ: તાલુકાના ઓડ ગામે રહેતા સિધ્ધાર્થ દિનેશભાઈ રાવળની બહેનના લગ્ન ઉમરેઠ ખાતે રહેતા ઉમંગભાઈ લાલાભાઈ રાવળ સાથે કરવા માટે છેલ્લા એક મહિનાથી વાતચીત ચાલતી હતી.
દરમ્યાન સિધ્ધાર્થભાઈના પરિવાર દ્વારા લગ્નની ના પાડી દેવામાં આવતાં ઉમંગભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને સુરેશભાઈ ગોવિંદભાઈ રાવળને લઈને આજે બપોરના સુમારે સિધ્ધાર્થભાઈના ઘરે પહોંચી ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને ગળુ પકડી લઈ લગ્નની કેમ ના પાડે છે તેમ જણાવીને ગડદાપાટુનો માર માર્યો હતો.
ત્યારબાદ સિધ્ધાર્થભાઈની માસી ભાવનાબેનને પણ ફોન પર ગમે તેવી ગાળો બોલી હતી. હોહા થતા આસપાસના લોકો આવી ચઢ્યા હતા અને વધુ મારમાંથી છોડાવ્યો હતો. જતાં જતાં બન્ને જણાએ ધમકી આપી હતી કે, આજે તો તુ બચી ગયો છે, પરંતુ ફરીથી જીવતો નહીં મુકીએ. આ અંગે ઉમરેઠ પોલીસે બન્ને વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.