સુરતમાં રાત્રે 2 કલાક જ ફટાકડા ફોડી શકાશે : ફટાકડાની લૂમ વેચવા અને ફોડવા પર પાબંધી
સુરતના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફટાકડાને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ: 1 ડિસેમ્બર સુધી જાહેરનામું અમલી રહેશે
રાજ્ય સરકારે દિવાળી નિમિત્તે ફટાકડા ફોડવા માટેની ગાઈડલાઇન જાહેર કર્યા બાદ મંગળવારના રોજ સુરતના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફટાકડાને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ફટાકડા ફોડવા માટે રાત્રિના 8થી 10 એટલે કે માત્ર બે જ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. જ્યારે ફટાકડાની લૂમ ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવતા ફટાકડા ફોડવાના શોખીનોમાં ખાસી નારાજગી જોવા મળી રહી છે.
સૂરત જિલ્લામાં દિવાળી તથા અન્ય તહેવાર નિમિતે જાહેર જનતાને પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી બચવા માટે ફટાકડાની બનાવટ/વેચાણ તથા ફટાકડા ફોડવા માટે અને આતશબાજી પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામથી થતા ઇજાના બનાવો તેમજ દર્દીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીની સાથોસાથ જાનમાલને નુકસાન અને ટ્રાફિક અડચણ જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી.વસાવાએ એક જાહેરનામાં દ્વારા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે