આણંદ નજીક સામરખામાં નરાધમ પતિએ મિલ્કત બાબતે પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારી ગળે ટૂંપો દઈ હત્યા કરતા પોલીસ ફરિયાદ
આણંદ: નજીક આવેલા સામરખા ગામે રહેતી એક પરિણીતાની તેના પતિ દ્વારા જ મિલકત બાબતે ગળે ટુંપો આપીને હત્યા કરી નાંખવામાં આવતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર સારમખા ગામની દરગાહ પાસે આવેલા મિલ્લતનગરમાં રહેતી શરીફાબેન ગફુરભાઈ વ્હોરા (ઉ. વ. ૪૨)ની લાશ ગઈકાલે સવારે તેણીના ઘર નજીકથી મળી આવી હતી. જેથી તેણીની પુત્રી આઈસાબાનુએ આણંદ રૂરલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ટીમ તુરંત જ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને લાશનો કબજો લઈને પીએમ માટે આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવતાં ગળે ટુંપો દઈને હત્યા કરાઈ હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી પોલીસે તપાસ કરતાં મરણ જનાર શરીફાબેન ઠાસરા તાલુકાના કાલસર નજીક આવેલા નેશ ગામના વતની હતા અને તેમના લગ્ન પહેલા માતર તાલુકાના રઢુ ગામે રહેતા યાકુબભાઈ શફીમહંમદભાઈ વ્હોરા સાથે થયા હતા. સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે ત્રણ દિકરીઓ અને એક દિકરાનો જન્મ થયો હતો.