પેટલાદમાં બીમારીથી કંટાળી આધેડે આત્મહત્યા કરતા ચકચાર
પેટલાદ: ખ્વાજા નગર સોસાયટીમાં રહેતા અને ખેતી તથા પોલ્ટ્રી ફાર્મના વ્યવસાય સાથે સંકળાયેલા મુસ્લિમ સમાજના આધેડે સતત અનિંદ્રા, સાથે બીમારીના કારણે કંટાળી જઈને વહેલી સવારે પોતાની લાયસન્સવાળી બંદુકથી ડાબી બાજુના છાતીના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ શહેરની તીનબત્તી પાસે ખ્વાજા નગર સોસાયટીમાં રહેતા લીયાકત અલી મહંમદ અલી સૈયદ (ઉ.વ. ૬૫) ઉપર થોડા સમય પહેલા હૃદય રોગનો હુમલો થતા તેમને સ્ટેન્ડ નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તબીયત પણ સારી થઈ જવા પામી હતી. પરંતુ ત્યારબાદ તેઓને ડાયાબિટીસ સાથે બંને કિડની ફેઈલ હોવાના રિપોર્ટ આવતા થોડા સમયથી સતત ચિંતામાં રહેતા હતા અને તેમના નજીકના લોકોને અનિંદ્રા અને તેમની બીમારીને લઈને ચિંતા કરતા હતા અને કહેતા હતા કે મને આ બીમારી સારી નહીં થાય. સાથે છેલ્લાં કેટલા દિવસથી નિંદર ન મળવાના કારણે શરીરમાં પણ બળતરા થતી હતી. આ બીમારીઓના કારણે સતત ચિંતામાં રહેતા હોવાથી આજરોજ સવારે ૬:૩૦ કલાકે તેમના ઘરવાળા ઘોર નિદ્રામાં હોવાથી તેમની લાયસન્સવાળી બંદુકથી ડાબી બાજુના ખભે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આ બંદુકનો અવાજ ધડાકાભેર થતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને જોયું તો લીયાકતઅલી પલંગ ઉપર ઢેર થઈ ગયા હતા અને તેમની બંદુક સામેની બાજુમાં પડી હતી. આ બનાવથી ઘરવાળા અને આજુબાજુના લોકો ડઘાઈ જતા અન્ય કુટુંબીજનોને બોલાવીને બનાવની જાણ કરી હતી. ઘટનાની જા થતાં પોલીસ આવી ચઢી હતી અને લાશનો કબ્જો લઈને પેટલાદ સિવિલ હોસ્પિટલે પી.એમ. અર્થે મોકલી આપી હતી.