સુરતના વરાછામાં બિલ્ડરને ફોન કરી બે નરાધમોએ ધમકી આપી: પત્નીને છૂટાછેડા ન આપે તો જાનથી મારી નાખવાની વાત કરતા શખ્સે ગંભરાઈને પોલીસનો સહારો લીધો
સુરત: શહેરમાં વરાછના બિલ્ડરને કોલ કરીને બે વ્યક્તિએ ધમકી આપી હતી કે, તુ તારી પત્નીને છુટાછેડા આપી દે નહી તો તને જાનથી મારી નાંખીશું. બે પૈકી એક વ્યક્તિએ બિલ્ડરને રેસ્ટોરન્ટ પાસે બોલાવ્યો પણ બિલ્ડર ત્યાં પહોંચ્યા બાદ ગભરાઇ જતા ભાગી ગયા બાદ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ અમરેલીના વતની અને સુરતમાં વરાછા લક્ષ્મી હોટલની બાજુમાં પંચદેવ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય બિલ્ડર નિકુંજભાઈ બીપીનભાઇ જયાણી હાલ જહાંગીરપુરા ખાતે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. રવિવારે મોટાવરાછામાં મિત્રને ત્યાં ડિનર પ્રોગ્રામ પતાવી રાતે 10 વાગ્યે ઘરે પરત જતા હતા. ત્યારે કાપોદ્રા બ્રિજ ઉતરતી વેળા તેમના મોબાઇલ પર અજાણ્યાનો કોલ આવ્યો હતો. અને પોતાની ઓળખ આકાશ ઉર્ફે લાલો તરીકે આપી ધમકી આપી હતી કે, તું તારી પત્નીને છૂટાછેડા આપી દે નહીં તો હું તને જાનથી મારી નાખીશ.