રાજપીપળાથી રામગઢ જતા પુલ પરથી એક્ટિવા લઇ જતો યુવાન પુલમાં પડેલા ગાબડાંમાં પડતા ગંભીર ઇજા
-પુલના રાજપીપળા તરફના ભાગે પુલ બંધ હોવાના બોર્ડ માર્યા હોવા છતાં રાત્રે એક્ટિવા પર જઈ રહેલો યુવાન ત્રીસેક ફૂટ જેવા ઊંડા ખાડામાં પડ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાથી રામગઢને જોડતા પુલને ભારે વરસાદના કારણે નુકશાન થતાં હાલમાં બંધ છે અને કરજણ ઓવારા તરફ તંત્ર દ્વારા પુલ બંધ હોવાના બોર્ડ પણ લાગ્યા છે છતાં કેટલાક લોકો જોખમી રીતે અવર જવર કરતા હોવાથી ગત રાત્રે લાછરસ ગામનો ઠાકોરભાઈ રાજુભાઈ તડવી (૨૧) યુવાન પોતાની રામગઢ ગામે આવેલી સાસરીમાં એક્ટિવા લઈ જતો હતો ત્યારે સામે છેડે પુલમાં પડેલું ત્રીસેક ફૂટ જેવા ગાબડાં માં આ યુવાન એક્ટિવા સાથે નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઈ હોય તેને રાજપીપળા સિવિલ બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયો છે.
ઉલ્લેખનીય છે કે આ પુલ જ્યારથી બન્યો ત્યારથી અનેકવાર તેમાં કોઈને કોઈ તકલીફ આવી છે જેના કારણે પુલ ચાલુ કરાયો ત્યારથી મોટાભાગે કામગીરી માટે અવર જવર બંધ જ રખાઈ છે તો કરોડોના ખર્ચે બનેલા આ પુલ નો ખર્ચ માથે પાડયો હોય તેમ લાગી રહ્યું છે માટે હાલમાં થઈ રહેલી કામગીરી યોગ્ય અને મજબુત કરાઈ તેવી લોકોની માંગ છે.