ગુજરાત
News of Saturday, 11th August 2018

મહાત્મા ગાંધીની ૧પ૦ વર્ષની જન્મજયંતિની ઉજવણી માટે રાજ્ય કક્ષાની અમલીકરણ સમિતિની રચનાઃ વિજયભાઇ રૂપાણીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધીજીના ૧પ૦ વર્ષની જન્મજયંતિની ઉજવણી માટે રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની રચના કરવામાં આવી છે. સમિતી ગાંધીજીની ૧પ૦ વર્ષની જન્મજયંતિની બે વર્ષ ચાલનારી ઉજવણીના સંદર્ભમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સમિતિના સૂચનોના અસરકારક અને પરિણામલક્ષી અમલ માટે કાર્યરત રહેશે.     
સમિતીના અન્ય સભ્યોમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, નાણાના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, પ્રવાસન અગ્ર સચિવ હૈદર તેમજ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ અધ્યક્ષ કુશળસિંહ પઢેરિયા, અમદાવાદના મેયર બિજલ પટેલ, ભાવનગરના વિધાયક જીતુભાઇ વાઘાણી, ગુજરાત વિદ્યાપીઠના ઉપ કુલપતિ અનામિક શાહ અને સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઇ, વાંચે ગુજરાત અભિયાનના મહાદેવ દેસાઇ, કસ્તુરબા ધામ રાજકોટના ટ્રસ્ટી મીરાબેન ચટવાણી અને શ્રીમદ રાજચંન્દ્ર આશ્રમ ધરમપુરના ભાવિન રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.     
રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સચિવ વી. પી. પટેલ સમિતીના સભ્ય સચિવ તરીકે કાર્યરત રહેશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રચાયેલી સમિતી મહાત્મા ગાંધી ૧પ૦મી જન્મજયંતિ ઉજવણી માટેના કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરશે

 

(5:49 pm IST)