ગુજરાત
News of Saturday, 11th July 2020

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં પ૦ ટકા સુધારોઃ આઇસીયુમાં સઘન સારવાર હેઠળ

અમદાવાદ: કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત અંગે સારા સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકીની તબિયતમાં 50 ટકા સુધારો થયો છે તેવી સિમ્સ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા માહિતી આપવામાં આવી છે. સિમ્સ હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી કે, ભરતસિંહ સોલંકી હાલ આઈસીયુમાં દાખલ થયેલ છે. હવે તેમની સ્થિતિ સ્થિર બની છે. હવે તેઓને 50થી 55 ટકા ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. તેમના બ્લડપ્રેશર અને યુરીન આઉટપુટ સુધારો થયો છે.

બે દિવસ પહેલા ભરતસિંહ સોલંકીની તબિયત નાજુક હતી. સોમવારે સાંજે તેઓને પ્લાઝમા થેરેપી પણ આપવામાં આવી હતી. પરંતુ તેના બાદ તેમનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેઓને વેન્ટીલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેઓને અસ્થમાની પણ તકલીફ હોવાથી અને ફેફસામાં સંક્રમણને પગલે ઓક્સિજન લેવલ પણ વારંવાર ઘટી જતું હતું. જેથી તેઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. પરંતુ તેઓની તબિયત એટલી નાજુક હતી કે, 90 ટકા ઓક્સિજન વેન્ટીલેટર થકી અપાઇ રહ્યું હતું. ભરતસિંહના હાર્ટ, કીડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યાં હતા, પણ ફેફસાં વધારે પડતાં નબળાં હોવાથી ઉપરના ઓક્સિજનની જરૂરિયાત વધી હતી. જેથી તેઓની તબિયત થોડી ક્રિટીકલ બની હતી. પરંતુ આજે સિમ્સ હોસ્પિટલે અખબારી યાદીમાં કહ્યું કે, હવે ભરતસિંહ સોલંકીની સ્થિતિમાં 45 ટકા રિકવરી છે. દર 12 કલાકે તેઓની ચકાસણી ચાલુ છે. રાઉન્ડ ધ ક્લોક તેઓની તપાસ ચાલુ છે. 

ભરતસિંહ સોલંકી ગત મહિને યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા. ઈલેક્શન પૂરુ થયા બાદ તેઓની તબિયત ખરાબ થઈ હતી. જેથી તેઓના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. 21 જૂનના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પહેલા તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ બાદમાં તેમની તબિયત વધુ કથળતા તેઓનો અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ સિમ્સમાં તેઓ સતત મોનિટરિંગ હેઠળ છે.

(5:19 pm IST)