ગુજરાત પોલીસે રિસાલદાર અને લતીફનું પણ એન્કાઉન્ટર કર્યું હતું
રાજ્યના એન્કાઉન્ટરોની કહાણી જેણે ફિલ્મોના પડદા સુધી જગ્યા બનાવી : ઉત્તરપ્રદેશના કુખ્યાત વિકાસ દુબેના એન્કાઉન્ટર ઉપર પણ સવાલો ઉઠ્યા
અમદાવાદ, તા. ૧૦ : મધ્યપ્રદેશના ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહેલા શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. ભાગવાના પ્રયાસમાં તેને પોલીસની ગોળીઓ વાગી છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં પોલીસના એન્કાઉન્ટરો ચર્ચામાં છે. ઈન્ટરનેટ પર જાતજાતની ડિબેટ થઈ રહી છે. જોકે, કાનપુરથી લગભગ ૧૦૬૮ કિલોમીટર દૂર આવેલા અમદાવાદ શહેરને આ ઘટના નથી પરંતુ ગુજરાતના શહેર અમદાવાદ અને વડોદરામાં આ આ એન્કાઉન્ટરની ફિલ્મો જેવી કહાણી સાથે ભૂતકાળના કમાડ ખુલી જાય છે. અસામાજિક અને માથાભારે તત્વો દેશના અને વિશ્વના દરેક ખૂણે પાક્યા છે અને પોલીસ સાથેની અથડામણોમાં અનેક વાર ઠાર મરાયા છે. ગુજરાતે પણ આવા એન્કાઉન્ટર જોયા છે. આ એન્કાઉન્ટરોમાં અમદાવાદના માફિયા લતીફ અને વડોદરાના રાજુ રિસાલદારનું એન્કાઉન્ટર ખૂબ જ ચર્ચાયું છે. આ બંને ડોનના કિસ્સાઓ આજે પણ આ શહેરોના કોઈક ખુણે જીવંત છે.
કુખ્યાત ડોન લતીફની કહાણીથી કોઈ અપરીચિત હોય તેવું ભાગ્યે જ બનશે. અમદાવાદમાં દારૂથી લઈને પ્રોપર્ટી ખાલી કરાવવાના ધંધામાં કાઠું ગયેલા જૂના અમદાવાદના લતીફને આખું ગુજરાત લતીફ ભાઈના નામથી ઓળખતું હતું. લતીફ પર અનેક લોકોની હત્યા અને ગુનાહિત કૃત્યાના આરોપનામાની ભરમાર હતી. વર્ષ ૧૯૯૭માં રાજ્યમાં શંકરસિંહ બાપુના રાજપાની સરકાર હતી અને લતીફ ઝડપાઈ ગયો હતો. પોલીસે ખૂબ ગડમથલ પછી તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
એક મર્ડર કેસની તપાસ સબબ લતીફને રાત્રે લઈ જવામાં આવી રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના વાહનોના કતારબંધ કાફલામાં લતીફ હતો. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર એન.આર.પરમાર હતા. લતીફને જે કાફલામાં લઈ જવામાં આવ્યો હતો તેમાં પોલીસ ઈન્સપેક્ટર તરૂણ બારોટ હતા. જાણકારોના મુજબ લતીફને તેમણે ગાડીમાં પૂછ્યું કે કુછ ખાના હે ત્યારે તેણે ના પાડી પરંતુ તે નાના બાળકની જેમ રડવા લાગ્યો હતો. રાત્રિના અંધકારમાં બે વાગ્યાની આસપાસ પોલીસનો કાફલો અમદાવાદ એરપોર્ટના કોતરપુર વોટરવર્કસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો કે લતીફને કુદરતી હાજતે જવા માટે વાહન ઊભું રાખ્યું તે સમયે તેણે પોલીસ પર એક સાપ ફેંકીને પોલીસને બેધ્યાન કર્યા અને તે જાપ્તામાંથી ફરાર થયો છે. તેને રોકોવા માટે એસઆરપી જવાને પણ બે રાઉન્ડ ગોળીબાર કર્યો છે. અમદાવાદ શહેરમાં તમામ ઠેકાણે નાકબંધી કરવામાં આવી. આ વાયરલેસ મેસેજના બે કલાક બાદ પોલીસ સાથેની અથડામણમાં લતીફ ભૂતિયા બંગલામાં ઠાર મરાયો.
રાજુ રીસાલદાર વડોદરાનો નામી ગુંડો હતો. ૧૯૯૦ના દશકમાં વડોદરામાં શાસન તો ગુજરાત સરકારનું હતું પરંતુ રાજ રાજુ રીસાલદારનું હતું. રાજુ પોતાની પ્રાઈવેટ કોર્ટ ચલાવતો હતો અને લોકો તેની પાસે તેના દરબારમાં જતા. રાજુ જે ન્યાય તોળે તે સર્વસામાન્ય ગણાતો હતો. રાજુના ગુંડાઓ વડોદરામાંથી ખંડણી ઉઘારવાતા. યામાહા પર આવતા તેના ગુંડાઓની અલગ ઓળખ હતી.
વર્ષ ૧૯૯૩માં વડોદરામાં એક હત્યા થઈ. આ હત્યા કોઈ સામાન્ય વ્યક્તિની નહીં પરંતુ સંદેશ અખબારના નિવાસી તંત્રી દિનેશ પાઠકની હતી. રાજુ રિસાલદાર અને તેના માણસોએ અખબારની ઓફિસના પગથિયે પાઠકની કરપીણ હત્યા કરી નાખી. એ સમયે રાજ્યના ખૂબ જાણીતા આઈપીએસ અધિકારીઓ અતુલ કરવાલ અને એ.કે.સિંગ વડોદરામાં ફરજ બજાવતા હતા. રાજુએ વડોદરા છોડી અને સલામત સ્થળ પકડી લીધું હતું. વડોદરામાં પાઠકની મોતનો પડધો પડ્યો. ઠેરઠેર રેલીઓ નીકળી અને રાજુ વિરુદ્ધ લોક જુવાળ ફાટી નીકળ્યો.
પોલીસને માહિતી મળી કે રાજુ મુંબઈમાં સંતાયો છે. કરવાલ અને સિંઘ જાતે જ ટીમ સાથે મુંબઈ પહોંચી ગયા. માહિતીના આધારે રાજુ રિસાલદાર ઝડપાઈ ગયો. પોલીસ બાય રોડ રાજુને વડોદરા લઈને આવી રહી હતી. પોલીસ ફરિયાદ મુજબ વડોદરાના પ્રવેશ પહેલાં જ રાજુએ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસની ગોળીએ વિંધાયો. ચીમનભાઈ પટેલની સરકારમાં રાજુ રીસાલદારનું એન્કાઉન્ટર થયું. આમ ગુજરાત પોલીસની ગોળીએ પણ નામચીન ગુનેગારો વિંધાયા હોવાનો એક ઈતિહાસ છે. આ ઘટના બાદ પણ ગુજરાતમાં અનેક ગુંડાઓનાં એન્કાઉન્ટર થયા.